Mysamachar.in-ગુજરાત:
કાળઝાળ મોંઘવારી ઘણાં સમયથી આપણી સૌની જમવાની થાળી પર એટેક કરી જ રહી છે, હવે આપણી થાળીમાં રહેલાં પાપડ-ભૂંગળા પર પણ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મળા સીતારમણ GSTનો તોપમારો કરશે ! જો કે પ્રારંભે જ આ નિર્ણયનો વિરોધ ઉઠયો છે. ગત્ શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી પાપડ અને ભૂંગળા પર 18 ટકા GST વસૂલવામાં આવશે ! તમામ પ્રકારના ફ્રાઇમ્સ પર GST લાદવામાં આવશે. જો કે, ઓલ ઇન્ડિયા પાપડ ઉત્પાદકોના એસોસિએશને સરકારનાં આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ સંગઠને ગુજરાતનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
અત્રે સમજો: હાલમાં અડદ પાપડનો કિલોગ્રામનો સરેરાશ ભાવ 280 રૂપિયા ગણો તો, GST ઉમેરાતાં તમારે આ એક કિલો પાપડના રૂ. 330 ચૂકવવા પડશે ! એ જ રીતે ચોખાની પાપડી કે વેફરનો ભાવ પ્રતિ કિલો રૂ. 170 ગણો તો, GST લાગતાં તેનો ભાવ રૂ. 200 થઈ જશે ! નોંધનીય છે કે, મોટાભાગના ગુજરાતી પરિવારોમાં પાપડ અને વેફરનો ઉપયોગ થતો હોય છે. પાપડના ગૃહઉદ્યોગનું ટર્નઓવર પણ મોટું છે. જેમાં મોટેભાગે મહિલાઓ અને ગરીબ પરિવારો સંકળાયેલા હોય છે. પાપડ મોંઘા થતાં વેચાણ અને ઉત્પાદન પર અસરો થવાથી ગરીબ મહિલાઓની રોજી પર પણ માઠી અસરો પહોંચશે. પ્રસંગોમાં પાપડ સહિતની આ ચીજોનો મોટો ઉપયોગ થાય છે, આ વેરો ત્યાં પણ નોંધપાત્ર પ્રમાણમાં અસરો પેદાં કરશે. જેથી હાલ ઉત્પાદકોએ વિરોધ નોંધાવ્યો છે, આગામી દિવસોમાં વપરાશકારો પણ વિરોધ નોંધાવે તો નવાઈ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક મહિનાઓથી સરકાર દેશવાસીઓનાં ભોજનની થાળીને પણ વેરાઓ ( અને, એ પણ આકરાં !)ની વસૂલાત માટે નિશાન બનાવી રહી હોય, લોકો અકળામણ અને લાચારીનો અહેસાસ કરી રહ્યા છે. આ બધી બાબતો આગામી સમયમાં લોકોમાં સરકારને અપ્રિય બનાવી શકે છે.