Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં હવે નાર્કોટિક્સના એટલે કે નશીલા પદાર્થો ઝડપી પાડવાના કેસમાં પંચ તરીકે સામાન્ય માણસ પોલીસ કે અન્ય કોઈ વ્યક્તિ સિવાયના અન્ય સરકારી વિભાગના વર્ગ-3ના કર્મચારીને એટલે કે સરકારી પંચ તરીકે રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, અગાઉ કેફી દ્રવ્યોની હેરાફેરીના કેસ વખતે સામાન્ય નાગરિકને પંચ તરીકે લેવામાં આવતા હતા. પરંતુ આવા તત્વોની ધાકધમકી અને લાલચમાં આવીને કેટલાક કિસ્સાઓમાં કોર્ટમાં જુબાની ફરી જવાના કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે, અને કાયદાની છટકબારીનો લાભ લઇ અને પોતે ફરી ગુન્હાખોરી કરતા અચકાતા નથી,
રાજ્યના ગૃહવિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ અનુસાર કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અને હેરાફેરીના કેસ મજબૂત કરવાની દિશામાં સરકારી કર્મચારીને જ પંચમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લાના સરકારી કર્મચારીનો પંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે તે સચોટ અને નિર્ભય જુબાની આપી શકે અને તે આધારે કેસના ટ્રાયલ દરમિયાન ઝડપાયેલ આરોપીને વધુ અને સખ્ત સજા થાય તે હેતુસર સરકારી કર્મચારીને પંચ તરીકે લેવાશે, પંચ તરીકે સરકારી કર્મચારી કામગીરી કરે ત્યારે તે સમય પુરતી તેની કામગીરી ફરજ તરીકે ગણાશે અને રજા અહેવાલ મુકવા ફરજ પાડી શકાશે નહીં. જયારે પંચને જરૂર ઊભી થાય ત્યારે તાત્કાલિક ધોરણે આ કર્મચારીને અચૂક કામગીરી ફાળવવી પડશે.