Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ લેવલની મહાકાય રિફાઇનરીઓ આવેલ છે, તેની સાથે સાથે મરીન નેશનલ પાર્ક, મરીન સેન્ચુરી, નરારા ટાપુ જેવી રાષ્ટ્રીય સંપદાઓ આવેલ છે. ત્યારે આ કંપનીઓ દ્વારા પોતાના અંગત હિત માટે પર્યાવરણના કાયદાઑની એસી તેસી કરવામાં આવતી હોય છે, અને લગત તંત્ર પણ પોતાનું હિત કંપનીઓને કારને યેનકેન પ્રકારે સચવાઈ જતું હોવાથી મો સીવીને બેસી જાય છે, તેમાં સ્થાનિક તંત્રથી માંડીને ગાંધીનગર સુધીના અધિકારીઓની ભૂમિકાઓને પણ નકારી શકાતી નથી, પેહલા એસ્સાર કહેવાતી હવે નયારા કંપની થી પણ આસપાસના કેટલાય ગ્રામજનો પીડિત છે, અને પોતાની વ્યથાઓ છાશવારે ઠાલવતા રહેતા હોય છે, ત્યારે નિયમોની એસીતેસી કરવાનો એક મામલો જાગૃત વકીલ દ્વારા હાઈકોર્ટમાં લઇ જવામાં આવતા આ વિસ્તારમાં ચર્ચાઓ શરુ થઇ છે,
જામનગર જિલ્લામાં આવેલ નયારા એનર્જી લિ. ની 20 MMTPA ની કેપેસીટીની રિફાઇનરી તથા પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ નું વિસ્તરણ કરી 46 MMTPA સુધી કરવા માટે કંપની દ્વારા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરર્મેન્ટ એન્ડ ફોરેસ્ટ, ન્યુ દિલ્હી ને દરખાસ્ત કરેલ તેના અનુસંધાને મંત્રાલય દ્વારા તારીખ 2 જુલાઈ 2019 ના રોજ બે દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપી લાગતા-વળગતા લોકો પાસેથી તારીખ 5-8- 2019 ના રોજ ૧૭:00 કલાક સુધીમાં લેખિતમાં મેમ્બર સેક્રેટરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગરને વાંધા સૂચનો મોકલવા જણાવવામાં આવેલ, આ પ્રકારની જાહેરાત થી પર્યાવરણ માટે કામ કરતા લોકોમાં આશ્ચર્ય અને આઘાતની લાગણી જન્મેલ કેમ કે આ રીતે પબ્લિક કન્સલ્ટેશન કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી કે M.O.I.F ના નોટિફિકેશનમાં આ રીતે પબ્લિક કન્સલ્ટેશન કરવાની કોઇ જોગવાઈ નથી.
આમ છતાં કંપની અને લગત વિભાગ દ્વારા કાયદાની એસી તેસી કરી મનસ્વી રીતે આ પબ્લિક કન્સલ્ટેશન રાખવામાં આવતા નયારા એનર્જી ની આજૂબાજૂના ગામડા ગાગવા, ખાવડી, મેઘપર, પડાણા, જાખર, સિંગચ, વાડીનાર, ટિંબડી, કજુરડા,દેવડીયા, મીઠોઈ, લખીયા વગેરે ગામના લોકોમાં પણ રોષ અને આઘાતની લાગણી જન્મેલ અને જે લોકો એન્વાયરમેન્ટ નો કાયદો જાણે છે તેવા લોકોમાં કંપની અને સરકારની સ્થિતિ હાસ્યસ્પદ થયેલ છે તેવા સંજોગોમાં સરકાર અને કંપનીને અનેક વખત પબ્લિક કન્સલ્ટેશનની જગ્યા એ લોક સુનાવણી કરવા જાણવામાં આવેલ આમ છતાં.કંપની અને સરકાર દ્વારા કાયદાની એસી તેસી કરી પોતાની મનમાની કરતાં જામનગરના પર્યાવરણવિદ અને એડવોકેટ દિલીપ સિંહ જાડેજા એ ગુજરાત હાઇકોર્ટમાં લિટિગેશન કરતા ડિવિઝન બેન્ચમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 15322/2019 થી મામલાની સુનાવણી થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ અરજદારની વાતમાં તથ્ય જાણતા મેટર દાખલ કરી નયારા એનર્જી, કેન્દ્ર સરકાર, કલેકટર, પોલ્યુશન બોર્ડ સહિતના સામે નોટિસ કાઢી કોર્ટમાં હાજર થવા જણાવેલ છે.