Mysamachar.in-ગુજરાત;
આજથી બાંસઠ વર્ષ પહેલાં ગુજરાત રાજયની સ્થાપના થઈ, 1960 માં. અને, દેશમાં આઝાદી આવ્યાને પંચોતેર વર્ષ થયાં. હજુયે મતદારો નાની નાની અસંખ્ય સમસ્યાઓમાં ઉલઝાયેલા છે અને નવાઈની વાત એ છે કે, ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવતી જતી રહે, મતદારો હજુ સંપૂર્ણ સુખી બન્યા નથી ! મોટાં નેતાઓ પણ નાનાં નાનાં પ્રશ્નોમાં કૂચે મરતાં જોવા મળે છે !! આ સ્થાનિક પ્રશ્નો નિવારવાની જેઓની જવાબદારીઓ છે, તેઓ ક્યાં, કોનાં મરચાં ખાંડી રહ્યા છે ?! એવો પ્રશ્ન મોટાં નેતાઓ પણ વિચારતાં હશે !!
ધારાસભ્યોએ પોતાનાં વિસ્તારોની સમસ્યાઓ નિવારવા ઉપરાંત સમગ્ર રાજ્યની નીતિઓ ઘડવાની હોય છે. તેઓનું મુખ્ય કામ પોલીસી મેકિંગ છે. તેઓએ રાજ્યની ઔદ્યોગિક નીતિ, અર્થવ્યવસ્થા, રોજગારી વધારવી, ભ્રષ્ટાચાર ઘટાડવો, રાજ્યનાં નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, રાજ્યનાં મતદારો માટે સામાજિક ઉત્થાનની યોજનાઓ બનાવવી, રાજ્યમાં શાંતિ અને સલામતી તથા સમૃદ્ધિ માટે વિવિધ નીતિઓનું નિર્ધારણ કરવું. અન્ય રાજ્યના વિકાસ સાથે પોતાનું રાજ્ય કેવી રીતે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે ? તે માટેનું ચિંતન અને ચિંતાઓ કરવી આ બધાં મોટાં કામો માટે મતદારો ધારાસભ્યો ને ચૂંટે છે.
તેને બદલે વિધાનસભા ચૂંટણી માટેનાં ઉમેદવારો અને ધારાસભ્યો, સાઈબ અમારી ગટર ઉભરાય છે, સાઈબ અમારી શેરીઓમાં ખાડા ટેકરા છે, સાઈબ ટેન્કર તો આવે છે પણ બેડું પાણીયે મળતું નથી….એવી પરચૂરણ ફરિયાદોમાં કૂચે મરે તો, રાજ્યની નીતિઓ તેઓ કયારે ઘડે ?! અને સાથે-સાથે એ પણ મુદ્દો છે કે, આટલાં વર્ષો પછી પણ જો આવી પરચૂરણ સમસ્યાઓ આજે પણ મોજૂદ હોય (!) તો, ગ્રામ પંચાયતનાં સભ્યો, તાલુકા પંચાયતનાં સભ્યો, પાલિકાઓના સદસ્યો અને મહાનગરપાલિકાનાં કોર્પોરેટરો આટલાં દાયકાઓથી કરે છે શું ?! તેઓએ પરચૂરણ આગેવાનો તરીકે આવી પરચૂરણ સમસ્યાઓ ઉકેલવી જોઈએ તો, ધારાસભ્યો પોતાનાં મોટાં પદની શોભા વધારે એવાં મોટાં કામો કરી શકે. વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન મોટેભાગે મતદારો ઉમેદવારો સમક્ષ આવી પરચૂરણ ફરિયાદો કરતાં હોય છે તેથી ઉમેદવારોનું ‘કદ’ પણ આપોઆપ ઘટી જાય છે ! ધારાસભ્યોની આવી વેલ્યુ ?!