Mysamachar.inગુજરાત:
સામાન્ય રીતે ઘઉંની વાત આવે ત્યારે પંજાબ રાજ્યનું નામ પહેલા યાદ આવે. કારણ કે, પંજાબ સૌથી વધારે ઘઉં પકવતું રાજ્ય છે. પરંતુ, આધુનિક યુગમાં ખેતી ક્ષેત્રે થયેલા પ્રયોગોથી ઘણા ખેડૂતોએ દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. માત્ર પંજાબમાં જ નહીં પણ આપણા ગુજરાતમાં પણ ઘઉંની સારી એવી ખેતી થાય છે. ન માત્ર ખેતી પણ આ ઘઉંની દેશ-વિદેશમાં મોટી માંગ રહી છે. ભૌગોલિક સંકેત GIથી પ્રમાણિત ગુજરાતના ભાલીયા ઘઉંની ગુજરાતમાંથી નિકાસ થાય છે. કેન્યા, શ્રીલંકા જેવા દેશમાં આ ઘઉં ખવાય રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. સ્વાદમાં મીઠા છે. ભાલ ક્ષેત્રમાં પાકતા હોવાથી તેને ભાલિયા ઘઉં કહે છે.
અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, ભરૂચ, ભાવનગર જિલ્લામાં આ ઘઉંની ખેતી થાય છે. આ ઘઉંની વિશિષ્ટતા એ છે કે, વરસાદ વગરની સ્થિતિમાં સિંચાઈ વગર તે ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં બે લાખ હેક્ટર ખેતીલાયક જમીન પર આ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ 2011માં આ પ્રમાણપત્ર મળ્યું હતું. જીઆઈ પ્રમાણપત્રની માલિકી ગુજરાતના આણંદની કૃષિ યુનિવર્સિટીની છે. આ એક નવી પ્રકારની પહેલ છે જેનાથી ગુજરાતમાંથી ઘઉંની નિકાસને વેગ મળી રહેશે. અમેરિકન ડૉલરની દ્રષ્ટિએ, ઘઉંની નિકાસ 2020-21માં 778% વધીને $ 549 મિલિયન થઈ ચૂકી છે. જુલાઈ 2011 ના વર્ષમાં આ ઘઉંની ખેતી કરનારા ખેડૂતોને જીઆઈ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ક્ષેત્રમાં નિષ્ણાંતો ઘણા સમયથી ઘઉંના પાક પર રીસર્ચ કરી રહ્યા છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયા (APEDA) ના અહેવાલનું માનીએ તો કેન્યા અને શ્રીલંકામાં ભાલિયા ઘઉં રવાના કર્યા બાદ તેની નિકાસમાં પણ સુધારો થવાનો છે.
યમન, ઇન્ડોનેશિયા, ભૂટાન, ફિલિપાઇન્સ, ઈરાન, કંબોડિયા અને મ્યાનમારમાં ભારતે દેશમાં પાકતા કેટલાક અનાજની મોટી નિકાસ કરેલી છે. ઓક્ટોબર મહિના અંતથી માંડીને નવેમ્બર મહિના સુધીમાં આ ઘઉંનું વાવેતર થાય છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં એની કાપણી થાય છે. આ માટે વરસાદ કે સિંચાઈના પાણીની ખાસ કોઈ જરૂર પડતી નથી. આ ખેતી માટીના ભેજ પર કરવામાં આવે છે. માટીમાં રહેલો ભેજ ખેડૂત ખેતરના મેડ ઉંચા કરીને વરસાદનું પાણી એમાં જમા કરે છે. તેનાથી ખેતરમાં ભેજ સતત જળવાઈ રહે છે. આ ઘઉંમાં ગ્લૂટેનની સારી માત્રા હોય છે.