Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના સભ્યો તો અવારનવાર પોતાની રજુઆતો અને માંગણીઓ શાશકપક્ષ અને અધિકારીઓને કરતા હોય છે, પરંતુ આ વખતે ખુદ કોંગ્રેસમાં થી ભાજપમાં આવેલ હાલ ભાજપના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર અતુલભંડેરીએ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુને સંબોધીને મહત્વની કહી શકાય તેવી રજૂઆત કરી છે, અતુલ ભંડેરીએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે તા.20/6/2018 ના રોજ જામનગર શહેરના દક્ષિણભાગમાં આવેલ વિસ્તાર પવનચક્કીથી દરેડ અને લાલપુર બાયપાસ સુધીના વિસ્તારમાં આશરે 1.5 લાખ માનવ વસવાટ થઈ ગયેલ છે. ત્યારે જામનગર શહેરની જનતા માટે હાલ 2 (બે) સ્મશાનગૃહ કાર્યરત છે.જામનગર શહેરની વધતી જતી માનવ વસાહત ના કારણે ત્રીજા સ્મશાન બનાવવા અંગેની માંગણી કરવામાં આવેલ હતી,
અને યોગ્ય માંગની હોય જરૂરતને ધ્યાને લઈને લગત શાખાને ભલામણ કરીને જગ્યા ફાળવવા માટે જા.મ.પા. અને ગુજરાત સરકારની પરવાનગી મેળવવા માટે જામનગર કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ગુજરાત સરકાર દ્વારા જ્ગ્યાની ફાળવણી માટેની મંજૂરી મળી ગયેલ હોય કલેકટર દ્વારા મહાનગરપાલિકાને જગ્યાની પણ સોંપણી કરી આપવામાં આવેલ છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા વાર્ષિક અંદાજીત બજેટ વર્ષ 2019-20 માં પણ આધુનિક સ્મશાન બનાવવા માટે અંદાજે રૂ. 2 કરોડ જેવી રકમની ફાળવણી પણ કરવામાં આવેલ છે.અને મહાનગર પાલિકા દ્વારા ત્રીજા સ્મશાન અંગેની અનેક વખત જાહેરાત પણ કરેલ છે. આ જાહેરાતથી લોકો ખૂબ આનંદીત થયા છે, આ અંગે વિસ્તારના અનેક લોકોની લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કોર્પોરેટર તરીકે અતુલ ભંડેરીને મળેલ છે.
એવામાં હાલમાં વૈશ્વિક કોરોનાની મહામારી દુનિયામાં ચાલી રહી છે. ત્યારે હાલ જામનગર માં અગ્નિદાહ આપવા માટે આદર્શ સ્મશાન (સોનપુરી) તથા ગાંધીનગર સ્મશાનગૃહ મુખ્ય 2(બે) જ સ્મશાન કાર્યરત છે. ત્યારે જામનગર શહેરમાં કોરોના ના કારણે હાલમાં આશરે દરરોજ અંદાજિત 10 જેટલા મૃત્યુ કોરોનાના કારણે થાય છે. ત્યારે અન્ય લોકોને અગ્નિદાહ આપવા માટે અંદાજે 8થી10 કલાક જેટલા સમયની રાહ જોવી પડે છે. હાલ વરસાદની સિઝનમાં લોકો 8થી10 કલાક જેટલો સમય વિતાવી ને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જામનગરની દક્ષિણ ભાગમાં આવેલ વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં ડેવલોપ થઈ ચૂક્યો હોય અને જામનગરની અંદાજે વસ્તી લગભગ 7 લાખને પાર થઈ ચૂકી છે. ત્યારે વધતી જતી વસ્તીને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે સ્મશાન બનાવવાની કાર્યવાહી હાથ ધરવા આપ નજીકના સમયમાં ત્રીજા સ્મશાન અંગેનું કામની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.