Mysamachar.in:જામનગર:
આગામી 23 સપ્ટેમ્બર અને શુક્રવારના દિવસે વધુ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, અને તે દિવસે રાત્રી અને દિવસ બન્ને સરખા થશે. આ દિવસે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે, અને ધીમે ધીમે દિવસ ટૂંકો થતો જશે, તેમજ રાત્રી મોટી થશે.સૂર્ય હંમેશા એક ની એક જગ્યા ઊગતો દેખાતો નથી, શિયાળામાં દક્ષિણ તરફ ખસીને ઊગતો દેખાય છે, જ્યારે ઉનાળામાં તે ઉત્તર તરફ ઊગતો દેખાય છે.
સૂર્ય જ્યારે પોતાની વાર્ષિક આકાશી યાત્રા રવિમાર્ગ-કાંતિવૃત ઉપરથી ઉત્તર તરફ છે, ત્યારે તે આકાશી વિષુવવૃત ને બે બિંદુ આગળ છેદે છે. આ બંને દિવસો એ સૂર્ય કિરણો ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ સુધી પૃથ્વીના બે સરખા ભાગ પાડી દે છે. જેથી આ દિવસ દરમિયાન પૃથ્વી ના દરેક ભાગ માં દિવસ અને રાત ની લંબાઈ સરખી બને છે.
ખગોળની ભાષામાં કાંતિવૃત અને વિષુવવૃત એક બીજા ને છેદે છે તે દરેક ને સંપાતબિંદુ ( ઇક્યુઈનોક્સ ) કહેવાય છે.સૂર્ય જ્યારે રવિમાર્ગ ઉપર પોતાની દક્ષિણ થી ઉત્તર તરફ ની વાર્ષિક યાત્રા તરફ આગળ વધે, ત્યારે એના મેષ રાશિ પ્રવેશ વખતે તે આકાશી વિષુવવૃત ને એક બિંદુ આગળ છેદે છે. જેને વસંતસંપાત કહેવામાં આવે છે. આ ઘટના 21 માર્ચ આસપાસ બને છે.એ જ પ્રમાણે સૂર્ય જ્યારે રવિમાર્ગ ઉપર પોતાની ઉત્તર થઈ દક્ષિણ તરફની વાર્ષિક યાત્રા તરફ આગળ વધતાં એના તુલા રાશિ પ્રવેશ વખતે તે આકાશી વિષુવવૃતને એક બીજા બિંદુ પાસે છેદે છે જેને શરદસંપાત કહેવાય છે. આ ઘટના 23 સપ્ટેમ્બરની આસપાસ બને છે.
આથી 21 માર્ચ વસંતસંપાત અને 23 સપ્ટેમ્બર શરદસંપાત ના દિવસો એ દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હશે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો સરખો અને 12 કલાકનો રહેશે.23 સપ્ટેમ્બર ના રોજ સૂર્ય બરાબર સાચી પૂર્વ દિશા માં ઉગશે ત્યાર પછી ના દિવસો દરમ્યાન સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસીને ઊગતો દેખાશે. વધુ માં વધુ 23.5 અંશ દક્ષિણ તરફ ખસશે, તે દિવસ વર્ષ નો ટુંકામાં ટુંકો દિવસ હોય છે. આ ઘટના 22 ડિસેમ્બરની આસપાસ હોય છે. જામનગર શહેર જિલ્લાની ખગોળ પ્રેમી જનતાએ આ અલૌકિક ખગોળીય ઘટનાની 23 મી તારીખે સ્વયંભૂ અનુભૂતિ કરવા અનુરોધ કરાયો છે.
-માહિતી:કિરીટ શાહ ખગોળ મંડળ, જામનગર