Mysamachar.in-જામનગર:
સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરના હીરક મહોત્સવ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૈનિક સ્કૂલ બાલાચડીમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ દેશ સેવા માટે ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવામાં આવે છે તેમ જણાવી સૈનિક સ્કૂલમાં હવે દીકરીઓને પણ પ્રવેશ આપવાના નિર્ણય બદલ શુભેચ્છા આપી હતી.મંત્રીએ દીકરીઓને સેનાની વર્દીમાં અને રાષ્ટ્રની સંરક્ષણ સેવામાં યોગદાન આપતી જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમજ ઓનલાઇન મોડ દ્વારા જોડાયેલા કેડેટ્સને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ લક્ષ્ય રાખવા તેમજ નિષ્ફળતાઓથી નિરાશ ન થઈ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
મંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોના નામના છૂપા દુશ્મનનો મકકમતાથી સામનો કરી રહ્યા છીએ. હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંભવતઃ ત્રીજી લહેર સામે લડત આપવા રાજ્યભરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. વધુ પથારીઓ ઓક્સિજન, દવાઓ દરેક વ્યવસ્થા સાથે ગુજરાત સજજ છે. આ તૈયારીઓથી ગુજરાત હાઈકોર્ટ પણ સંતુષ્ટ છે. ત્યારે લોકો પણ આ ત્રીજી લહેર સામે લડત આપવા રસી લે અને સેનિટાઈઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની કાળજી રાખે તે આવશ્યક છે.
આ તકે સાંસદ પૂનમબેન માડમે ‘નેશન ફર્સ્ટ’ના સુત્રને સાર્થક કરતી સૈનિક સ્કૂલ બાલાચડીને હીરક જયંતી માટે અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, દરેક નાગરિકે સશસ્ત્ર દળોમાં સેવા આપવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના સંરક્ષણ દળો વધુ સશક્ત બન્યાં છે. સાધન સૈન્ય દળ થકી ભારત વધુ સંપન્ન બન્યું છે. વળી મહિલા સશક્તિકરણ માટે પ્રધાનમંત્રી દ્વારા અનેક નવતર પગલા લેવામાં આવ્યા છે. સંરક્ષણમાં મહિલાઓનું યોગદાન વધે તે હેતુથી આજે બાલાચડીમાં બાળકીઓના પ્રવેશનો પ્રારંભ થયો છે.આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નવનિર્મિત પુરુષ છાત્રાલય ‘સરદાર પટેલ હાઉસ’ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવીનીકૃત મહિલા છાત્રાલય ‘અહલ્યાબાઈ હાઉસ’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.મંત્રી અને સાંસદએ સૈનિક સ્કૂલ બાલાચડીમાં શૌર્ય સ્તંભ, શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
હીરક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળાના સભાખંડમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગ્રુપ કેપ્ટન રવીન્દરસિંહએ શાળાના 60 વર્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસથી સર્વેને અવગત કર્યા હતા. તેમણે શાળાના વિકાસમાં યોગદાન આપનાર સંસ્થાના સ્થાપક, પૂર્વ પ્રશાસકો અને પૂર્વ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આચાર્ય રવીન્દરસિંહએ સંરક્ષણ મંત્રાલય સાથે મેમોરેન્ડમ કરાર પર સહી કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બદલ શાળાના સર્વાંગી વિકાસ માટે મદદ મળશે તેમજ શાળા વિશ્વકક્ષાની બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સૈનિક સ્કૂલ બાલાચડીના નવીનીકૃત અને નવનિર્મિત બંને છાત્રાલય ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
આચાર્યએ ‘ઓલ્ડ બોયઝ ઓફ સૈનિક સ્કૂલ એસોસિએશન’ (ઓબ્સા)ના સભ્યોનો શાળાને લોન્ડ્રી મશીન ભેટ આપવા બદલ આભાર માન્યો હતો અને તેઓ સ્કૂલના રાજદૂત છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે ભારતીય વાયુસેનાના ફિલ્ડ માર્શલ સેમ માણેકશા, ફિલ્ડ માર્શલ કે.એમ કારિઅપ્પા અને માર્શલ ઓફ ધ ઈન્ડિયન એરફોર્સ અરજન સિંહના ચિત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.હિરક મહોત્સવ પ્રસંગે 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્રા, જામનગરના કલેકટર સૌરભ પારધી, ઓબ્સાના ઉપપ્રમુખ કર્નલ હરેશ લિંબાચીયા અને ડો.ભરત ગઢવી, શાળાકર્મીઓ, કેડેટસ અને સૈનિક સ્કૂલ બાલાચડીના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.