Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં આવેલી ખાનગી પ્રિ પ્રાઈમરી શાળાઓ માટેની સરકારની પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે શાળાઓનાં ઓરડામાં ઓછામાં ઓછી કેટલી સ્પેસ રાખવી જોઈએ વગેરે મુદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં નવી શિક્ષણનીતિ અનુસાર, જુનિયર કેજી- સિનિયર કેજી તથા બાલવાટિકા સહિતની શાળાઓનાં વર્ગોનો પ્રાથમિક શાળામાં સમાવેશ કર્યા બાદ રાજ્યમાં ચાલતી ખાનગી પ્રિ પ્રાઈમરી સ્કૂલો માટે પ્રિ પ્રાઈમરી શિક્ષણ નીતિ-2023 જાહેર કરવામાં આવી છે. આ શાળાઓ પૈકી ઘણી શાળાઓ બંગલાઓમાં, નાની બિલ્ડીંગમાં કે એપાર્ટમેન્ટમાં કોઈ ફ્લેટમાં પણ ચાલતી હોય છે !
હવેથી આ તમામ શાળાઓનું સંચાલન ટ્રસ્ટ, સોસાયટી કે કંપની એક્ટ હેઠળ કરવાનું રહેશે અને તેનું રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન વધુમાં વધુ એક વર્ષની અંદર કરાવી લેવાનું રહેશે. આ સાથે જ ધોરણ 1 થી 12 ની જે શાળાઓમાં પ્રિ પ્રાઈમરી શાળા પણ ચાલતી હોય તેવી શાળાઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલિસીની જાહેર થયેલી વિગતો એવી છે કે, સ્ટાફની કોઈ પણ વ્યક્તિ વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ કોઈ ફરિયાદ નોંધાયેલી નથી તે પ્રકારનું સેલ્ફ ડેકલેરેશન શાળાઓએ આપવાનું રહેશે. નવી શરૂ થનારી પ્રિ પ્રાઈમરી શાળા નિયત સતામંડળની પરવાનગી વિના શરૂ કરી શકાશે નહીં. રજિસ્ટ્રેશન માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ કરવાની રહેશે.
સંબંધિત જિલ્લામાં DEO-DPEOએ હયાત તથા નવી શરૂ થનારી પ્રત્યેક પ્રિ પ્રાઈમરી શાળાની મુલાકાત લેવાની રહેશે. સ્કૂલ તથા વર્ગોની ચકાસણી કરવાની રહેશે અને ત્યારબાદ જ મંજૂરી આપવામાં આવશે. ઓનલાઇન અરજીનાં 60 દિવસની અંદર મંજૂરી આપવાની રહેશે અને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ કે ફાઈલ ઓફલાઈન આપી શકાશે નહીં. આ પ્રકારની શાળાઓનાં વર્ગો બંધ કરતાં પૂર્વે પણ DEO-DPEOની મંજૂરી મેળવવાની રહેશે.
પ્રિ પ્રાઈમરી સ્કૂલ્સની કોઈ પણ ફરિયાદનાં નિકાલ માટે બે સભ્યોની સમિતિ રચવાની રહેશે અને જે કિસ્સામાં શાળા કસૂરવાર ઠરશે તે કિસ્સામાં શાળાને રૂ.10,000 થી માંડીને રૂ.25,000 સુધીનો દંડ કરવામાં આવશે. દરેક શાળાએ વાલીઓ અને શિક્ષકોનું એસોસિએશન બનાવવાનું રહેશે. જેમાં 75 ટકા વાલીઓ હશે. વાલીઓમાં 50 ટકા માતાઓ હશે. એસોસિએશનનાં ચેરમેન તરીકે વાલી જ રહેશે. આ પ્રકારની શાળાઓમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલાં ધારાધોરણ મુજબનાં શિક્ષકો રાખવાનાં રહેશે. અને GCERT દ્વારા લાગુ તાલીમી નિયમો મુજબનાં કેરગિવર શાળાઓએ રાખવાનાં રહેશે. શાળાએ દરેક વર્ગખંડમાં પ્રત્યેક બાળકદીઠ 8 ચોરસફૂટ જગ્યા ઉપલબ્ધ કરાવવાની રહેશે. એટલે કે, 10 બાય 10 ના વર્ગખંડમાં વધુમાં વધુ 12 બાળકોને બેસાડી શકાશે.