Mysamachar.in:જામનગર
આગ જબરો વિષય છે. આગ શરૂઆતમાં નાની હોય છે, પછી આપણે તે બુઝાવી ન શકીએ એટલે એ જ નાની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકતી હોય છે. અને, પછી આપણે સૌ હાંફળાફાંફળા બની જઈએ અને ગભરાટમાં દોડાદોડી કરી મૂકીએ તે વાજબી ન લેખાય. આગને પ્રારંભમાં જ ઓલવી શકાય તો ઘણાં પ્રકારની નુકસાની અટકાવી શકાય. આ દિશામાં ખાસ ધ્યાન આપવામાં આવતું નથી ! ફાયર સલામતી નાં સાધનોનું નિદર્શન કરવું, મીડિયાને હાજર રાખી, સાધનોની ચકાસણી કરવી, છાત્રો સમક્ષ માત્ર મીઠડી વાતો કરવી અને ઇમારતોના વપરાશકારો પાસેથી સેલ્ફ ડેકલેરેશન ભેગાં કરી, ફાઈલોમાં રાખી દેવા — એ જ શું કાર્યવાહી અને કામગીરી લેખી શકાય ?!
ઈમારતોમાં આગ શરૂ થાય ત્યારે જ ઇમારતોના વપરાશકારો એ આગ બૂઝાવી શકે તો ફાયરશાખાને પરચૂરણ કેસોમાં લાંબુ ન થવું પડે. ખોટી હો..હા ન કરવી પડે. સમય, શક્તિ અને નાણું બચાવી શકાય. મોટાં ઉદ્યોગ પણ આગ સમયે માત્ર ફાયર શાખા આધારિત રહે, એ કેવું ?! ઉદ્યોગો ફાયર સલામતી વ્યવસ્થા ધરાવતા હોતાં નથી ?! આ બાબત કોર્પોરેશને ચેક કરવાની હોતી નથી ?! દર વખતે ફાયરશાખાએ શા માટે દોડવું પડે છે ?! આગ શરૂઆતમાં જ મોટી નથી હોતી, આગ નાની હોય ત્યારે, ઇમારતોના વપરાશકારો અને ઉદ્યોગપતિઓ પોતાની વ્યવસ્થા વડે બૂઝાવી ન શકે ?! આ તો મોટી બેદરકારી કહેવાય ! આ સ્થિતિમાં કોઈ અનિચ્છનિય ઘટના, ફાયરશાખાની ટૂકડી આવ્યા પહેલાં બની જાય, તો જવાબદારી કોની ?! તંત્રએ આ મુદ્દો શા માટે વર્ષોથી વિચારણામાં લીધો નથી ?! કે પછી, તંત્રને માત્ર દેખાડાઓ પૂરતો જ રસ છે ?!