Mysamachar.in-ગુજરાત:
રાજ્યના ખેડૂતોના હિતમાં MSP યોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના સ્થાને રાજ્યના કુલ ઉત્પાદનના 50% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજુરી આપવા કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સમાં ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બેંગલુરુ, કર્ણાટક ખાતે રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી.
આ નેશનલ કોન્ફરન્સમાં ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રાકૃતિક ખેતી, માર્કેટિંગ (FPO અને e-NAM), નેનો ફર્ટિલાઇઝર, પીએમ કિસાન, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વગેરે જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન અને ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મંત્રી રાઘવજી પટેલ દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રાકૃતિક ખેતી, નેનો ફર્ટિલાઇઝર વગેરે ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં થયેલ આગવી કામગીરી અને આગામી આયોજન અંગે નેશનલ કોન્ફરન્સમાં ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ એગ્રીકલ્ચર ક્ષેત્રે ગુજરાત સરકારે વર્ષ 2014/15 થી કામગીરી આરંભી દીધી હતી. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતી વિવિધ ઓનલાઈન સેવાઓ, જેવી કે, આઇ-ખેડૂત પોર્ટલ, ડીબીટી તથા ઓનલાઈન લાયસન્સ સૉફ્ટવેર અંગે માહિતી પૂરી પાડી હતી.
મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા નવીન સંશોધન અને આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરી શકે તેવા “નેનો યુરીયા”ના પ્રમોશન માટે તેમજ ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ માટેના નિદર્શનો માટે કરેલ રૂ.35 કરોડની જોગવાઈ અંગે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં.રાજ્ય સરકાર દ્વારા નેચરલ ફાર્મિંગના પ્રમોશન માટે કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રધાનમંત્રીના આહવાન મુજબ રાજ્યમાં દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે શરૂ કરાયેલ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. આ કોન્ફરન્સમાં મંત્રી સાથે રાજ્યના ખેતી નિયામક એસ. જે. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.