Mysamachar.in-જામનગર
ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે એક માલધારીનાં 50 થી વધુ ઘેટાના ક્યા કારણોસર મોત થયા તે જાણવા ટીમો કામે લાગી છે. કોઇ જંગલી પશુ દ્વારા ઘેટા પર કોઇ હુમલો કર્યો હોય અને મોત થયાનું માલિકે જણાવ્યું હતું. પરંતુ મોતનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વનવિભાગ, વેટરનીટી ડોક્ટર સહીતનાં સ્ટાફે સ્થળની મુલાકાત લીધી હતી. ધ્રોલ તાલુકાનાં મજોઠ ગામે રહેતા કાનાભાઇ લાખાભાઇ ઝાંપડાનાં વાડામાં તા. 31ની રાત્રીનાં અગમ્ય કારણોસાર 50 થી વધુ ઘેટાનાં અચાનક મોત થયા હતા.
જેને લઈને માલધારી પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયા હતા, અને તા. 1ના આગેવાનો મારફત તાલુકા પંચાયતને જાણ કરાતા પશુ ડોક્ટર અને વનવિભાગ સહીતનાં વિભાગોને જાણ કરવામાં આવી હતી. આ ઘેટાઓનાં મોત કોઇ પશુએ ચાર પાંચ ઘેટા પર હુમલો કરવાથી અને બાકીનાં હુમલાથી ભયનાં કારણે મૃત્યુ પામ્યાનું માલધારીએ જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. વેટરનીટી ડોક્ટરને જાણ કરાઇ હતી. પરંતુ માલિક દ્વારા ઘેટાઓનાં મૃતદેહો દુર કરાયા હતા.
તે સ્થળ પર મૃતદેહોને પશુઓએ ફાડી ખાધા હતા. આથી મૃત પશુઓનું પીએમ થઇ શકયું ન હતું. વન વિભાગ દ્વારા જંગલી જનાવર બાબતે સતત બે દિવસ સુધી તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ કોઇ જંગલી જનાવરે હુમલો કર્યો ન હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં જણાયું ન હતું. ઘટના બે દિવસ બાદ પ્રકાશમાં આવી હોય ઘેટાઓનાં મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.