Mysamachar.in-જામનગર:
જામનગર કમિશ્નરપદે યુવા IAS અધિકારી વિજયકુમાર ખરાડીએ ચાર્જ સંભાળ્યા બાદ તેવો શહેરના કામોની સતત સમીક્ષાઓ જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે કરી રહ્યા છે, તેવો પારદર્શી વહીવટના આગ્રહી હોય અને ગ્રાઉન્ડ લેવલ પર શું સ્થિતિ છે તે પણ હંમેશા ચકાસતા રહે છે, જામનગર મહાનગરપાલિકા રાજ્યની મહાનગરપાલિકાઓ પૈકીની એક મહાનગરપાલિકા હોય સ્વભાવિક જ સરકારની સીધી નજર ડેવલપમેન્ટ સહિતની બાબતોને લઈને રહેતી હોય ત્યારે જામનગર મહાનગરપાલિકામાં સુચારુ વહીવટ ચાલે કોઈ ત્રુટીઓ ના રહે અને શહેરીજનો સુખસુવિધાઓનો અહેસાસ કરે તે માટે કમિશ્નર વિજયકુમાર ખરાડી મીટીંગો અને સાઈટ વિઝીટો દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને સતત માર્ગદર્શન પ્રુરુ પાડતા હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી થોડા વર્ષો પૂર્વે જામનગર જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા હોય તે જીલ્લાથી પણ ખુબ સારી રીતે વાકેફ છે.
હાલમાં જામનગર શહેરમાં કેટલાય વિકાસ કામો જુદી-જુદી ગ્રાન્ટો હેઠળ કરોડોના ખર્ચે ચાલી રહ્યા છે, અને સૌરાષ્ટ્રના સૌથી મોટો ફ્લાયઓવર પણ જામનગરમાં નિર્માણ પામવાનો છે, જેના માટે પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે, અને તેનું પણ કામ શરુ થવા લાગ્યું છે, ત્યારે આ ફ્લાયઓવર સહીત શહેરમાં જે કામો પ્રગતિમાં છે અથવા નવા કામો આગામી સમયમાં શરુ થવાના છે તેની એ.સી ઓફિસમાં બેસીને નહી પરંતુ જે તે સાઈટ પર જે તે શાખાના અધિકારીને સાથે રાખીને જરૂરી તમામ સમીક્ષાઓ કમિશનરે કલાકો સુધી કરી અને તે મતલબની જરૂરી સૂચનાઓ પણ સબંધિતોને આપી હતી,
ગઈકાલે વિવિધ સાઈટોની મુલાકાત બાદ આજે જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ my samachar સાથેની ખાસ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે ઘણા બધા પ્રોજેક્ટ જેવા કે જામનગરમાં તૈયાર થનારા ફ્લાય ઓવર બ્રીજ, ભુજીયા કોઠા, રણમલ તળાવ, દિગ્જામ ઓવરબ્રીજ, સહિતના જે કામો હાલ ચાલી રહ્યા છે ત્યાં વિઝીટ દરમિયાન કામો યોગ્ય થઇ રહ્યા હોવાનું જણાઈ આવે છે, પરંતુ કોરોનાને કારણે કામો થોડા વિલંબિત થયા છે માટે દરેક કામો જે હાલ ચાલી રહ્યા છે ત્યાં મેનપાવર અને મશીનરી વધારી કામોને યોગ્ય માપદંડો પ્રમાણે વેગ આપવાની અને કામોની ગુણવતા જળવાઈ રહે તે સુચના આપવામાં આવી છે, આ સાથે જ જે તે સાઈટ પર કામ કરતા માણસોની સલામતી જળવાઈ રહે તે ખુબ જરૂરી છે, અને તેને લઈને કોઈ બાંધછોડ ના કરવા ઉપરાંત દરેક કામ જે ચાલી રહ્યા હોય તેનું દરેક શાખાના અધિકારી સતત સુપરવિઝન કરી અને દર સપ્તાહે અઠવાડિક રીપોર્ટ સીધો જ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે,મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીની આ વિઝીટ દરમિયાન એ.એમ.સી.ભાર્ગવ ડાંગર, સીટી ઈજનેર શૈલેશ જોશી, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની પણ સાથે રહ્યા હતા.