Mysamachar.in-જામનગર
સરકાર દ્વારા ખેડૂતોની ખેત ઉત્પાદનની વિવિધ જણસીઓ ટેકાના ભાવે ખરીદ કરી ખેડૂતોને આર્થિક લાભ મળી રહે તે માટે સમયાંતરે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા ચાલે છે, હાલમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કઠોળની ખરીદી ચાલું હોય જામનગર સાંસદ પૂનમબેન માડમએ જામનગર જીલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડની તાજેતરમાં જ મુલાકાત લઈ સ્થળ પર ચણા ખરીદી પ્રક્રિયા અંગે સમિક્ષા કરી ખેડૂતો સાથે ચર્ચા કરી ખેડૂતોની જણસીઓની ખરીદી પારદર્શી રીતે થાય તથા ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સ્થાનીક એપીએમસી કેન્દ્રમાં સરળ પ્રક્રિયા માટે જરૂરી સુચનો પણ કર્યા હતા. મુલાકાત સમયે સાંસદ પૂનમબેન માડમની સાથે એપીએમસી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, તાલુકા ભાજપા પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, જીલ્લા યુવા ભાજપા પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા અને અગ્રણી જયેશભાઈ વાઘાણી તથા જમનભાઈ તારપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.