Mysamachar.in-જામનગર
જીવન અને મૃત્યુએ આપણા હાથની વાત નથી. આજનો સમય એવો છે કે જેમાં સ્વાર્થનું સ્થાન એ વ્યક્તિ કરતાંય વિશેષ છે. ત્યારે આવા સમયમાં વર્ષોથી નિ:સ્વાર્થ સેવાનું સ્તુત્ય કાર્ય કરતી એક સંસ્થા જામનગરમાં છે. એ સંસ્થા એટલે ‘મોક્ષ ફાઉન્ડેશન’.. આ સંસ્થાની સરાહના કરીએ તેટલી કદાચ ઓછી પડે તેવું સંસ્થાનું કાર્ય છે, ‘મોક્ષ ફાઉન્ડેશન’ના મેનેજિંગ ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલાએ “માયસમાચાર” સાથે વાતચીત કરતા તેઓ સંસ્થા અને તેની સેવા વિશે ખૂબ વિવેકપૂર્વક જણાવે છે કે, વર્ષ 2006 થી તેઓ મિત્રો સાથે મળીને જે બિનવારસુ મૃતદેહ હોય તેની અંતિમવિધિની સમગ્ર ક્રિયા માનવતાની સેવાના ભાગરૂપે કરી હતી. પછી તો ‘લોગ ઝૂડતે ગયે, કારવાં બનતા રહા ઔર સેવા અવિરત હૈ..’
આમ આ સેવાની ભાવનાથી સમાજ સાથે 2011 માં સભ્યો સાથે મળીને ટ્રસ્ટ કરી તેની નોંધણી કરાવી. અત્યારે ટ્રસ્ટમાં હરિભાઈની હોટલવાળા, મનુભાઈ મહાજન, નિખિલભાઈ ભટ્ટ, બળુભા ચુડાસમા, દિપકભાઈ, બશીરભાઈ સફિયા એમ એક હજાર જેટલાં સભ્યો વિશેષમાં 24 કલાક, 365 દિવસ દિવસ અને રાત જોયા વિના સેવારત છે. ખાસ તો મુખ્ય વિક્રમસિંહ ઝાલા, હિતેશ ગોસ્વામી, પરાગ ગઢાં, ઘનુભાઈ ચૌહાણ સતત સક્રિય સભ્યો છે, એક ફોનથી કે કોઈ પણ જાતના સંપર્કથી મળેલી માહિતીના આધારે સીધા જ જે તે સ્થળે પહોંચી બિનવારસુ મૃતદેહની અંતિમક્રિયા ધાર્મિક વિધિ સાથે કરે. પોતાની સમાજ પ્રત્યેની ફરજ સમજીને તેઓ સંવેદનશીલતા સાથે દેહ પંચમહાભૂતમાં વિલિન કરાવે છે.
આ જ સભ્યો અને બીજા મહાનુભાવો સતતપણે જોઈતું ફંડ રાખે છે. અને મેળવેય છે. તેમજ સહજતાથી આ નિ:સ્વાર્થ સેવામાં તે બધા નાણાંનો ઉપયોગ કરે છે. કોઈ ઘર્મ, જાતિ, વ્યક્તિ એવાં ભેદ રાખ્યા વિના માનવતાને મોખરે રાખી આ સંસ્થા કોઈ ઑફિસ કે કાર્યાલય વિના હોસ્પિટલ પાસે અવિરત હોય છે. સ્વાઈન ફ્લુની બિમારીના સમયે સંસ્થાએ સમાજ માટે, માનવતા માટે અને સેવા કાજે આ કાર્યને અવિરત રાખ્યું છે. તેમજ રસ્તે રઝળતું મૃત શરીર હોય, કોઈથી અંતિમક્રિયા ન થઈ શકે એવી સ્થિતિ હોય તેવાં સૌ મૃતદેહની નિશ્ચિત ધાર્મિક વિધિ સાથે અંતિમક્રિયા આ સંસ્થા કાયમ કરાવી આપે છે.અને જ્યોત પ્રજ્વલિત રાખી છે,
હાલ કોરાનાની મહામારીના કપરા સમયમાં જ્યારે જામનગરમાં કોરોનાને કારણે જીવ ગુમાવતા વ્યક્તિના દેહની અંતિમક્રિયા ‘મોક્ષ ફાઉન્ડેશન’ એ કોઈ પ્રકારના સંકોચ, ભય કે ખચકાટ વિના કરવામાં કરી રહી છે. જેમાં સભ્યો પોતે પી.પી.ઈ. કીટ પહેરી બોડીને સેનેટાઈઝ કરી તેને ચાદરોમાં સરખી લપેટી અંતિમસંસ્કાર કરીને પોતાની સેવાની સંવેદનાને જાળવી રાખી છે. જેમાં જામનગરના કલેકટર સહિતના વહીવટીતંત્ર અને બન્ને સ્મશાનોનો સહકાર સાંપડ્યો છે. સંસ્થાએ આ સમયમાં પણ કેટકેટલાં મૃત શરીરોના અંતિમસંસ્કાર કર્યાં છે. જે માનવતાની મ્હેંક સમાન છે.