ભારતના 28 કરોડથી વધુ નાગરિકો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા, સહકારીક્ષેત્ર પર જામનગરમાં યોજાયો સેમીનાર

સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિ

ભારતના 28 કરોડથી વધુ નાગરિકો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા, સહકારીક્ષેત્ર પર જામનગરમાં યોજાયો સેમીનાર

Mysamachar.in-જામનગર

નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના સહયોગથી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘની શિક્ષણ અને તાલીમ યોજના અન્વયે જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે ‘સહકારી પ્રવૃત્તિ દ્વારા આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા’ વિષય પર અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને નાગરિક સહકારી બેંકો તથા ક્રેડિટ સોસાયટીઓ માટેનો જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો હતો.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ ગુજરાતમાંથી સને 1904માં થયો હતો અને આજે સંપૂર્ણ ભારતમાં સહકારી પ્રવૃત્તિ લોકોના આર્થિક-સામાજિક વિકાસની એક મહત્વની પ્રવૃતિ સાબિત થઈ છે. 117 વર્ષના ગાળામાં આ પ્રવૃત્તિએ અનેક ચડતી પડતી જોઈ, આજે ગુજરાતમાં લગભગ 60 હજારથી વધુ જુદા જુદા પ્રકારની સહકારી સંસ્થાઓ આવેલી છે. જેમાં નાણા ધીરનારની સંસ્થાઓ જેવી કે જિલ્લા બેંકો, નાગરિક બેંકો, ધિરાણ મંડળીઓ, ક્રેડિટ સોસાયટીઓ આજે લોકોને સ્વનિર્ભર બનવામાં મદદરૂપ બની રહી છે.

સહકારી સંસ્થાઓ લોકોના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારી પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને વેગવંતી બનાવવા તાજેતરમાં જ સહકાર વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ પહેલથી સહકારી ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ થશે. સહકારી ક્ષેત્રનો વહીવટ વધુ પારદર્શી બને અને લોકભોગી થાય તેવી અભ્યર્થના મંત્રીએ વ્યકત કરી હતી.

આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, સહકારિતા અને સહભાગિતા થકી દેશના વિકાસની પગદંડી ઉપર આગળ વધવા પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી વિભાગનું કેન્દ્રમાં ગઠન કરવામાં આવ્યું છે, અનેક જુના કાયદાઓ જે સમયની માંગ સાથે બદલવાનું કાર્ય પણ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયું છે. સહકારી ક્ષેત્રમાં વધુ પારદર્શિતા આવે સહકારી ક્ષેત્ર વધુ સુદ્રઢ બને તે માટે આ ક્ષેત્રને મંત્રાલયમાં અલગથી સ્થાન આપી તેને વધુ કાયદાકીય પરિપ્રેક્ષ્યોમાં આગળ વધારવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ભારતના 28 કરોડથી વધુ નાગરિકો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યારે ‘સહકારથી સમૃદ્ધિ’ના અભિગમ સાથે આગળ વધવાનું છે. સહકારી બેંકોની વ્યવસ્થા પણ કાયદાકીય રીતે મજબૂત બને અને વ્યવસ્થા થકી લોકોને તેનો લાભ વધુ સુલભ બની રહે તે માટે આ પ્રકારના સેમિનાર થકી લોકો વધુ સજાગ, અપડેટ અને સહકાર ક્ષેત્રની વધુ પ્રગતિ માટે આગળ વધશે તેમ સાંસદએ ઉમેર્યું હતું.