Mysamachar.in-જામનગર
જામનગરમાં આચરવામાં આવેલા કરોડાના શૌચાલય કૌભાંડના સાચા રહસ્યો હવે ખુલશે કેમકે ઇજનેરો સહિતના આરોપીઓના આગોતરા રદ થયા માટે ધરપકડ થાય રિમાન્ડ લેવાય અને જે જુજ રકમનો જ હજુ ગુનો નોંધાયો છે તેના બદલે રીમાન્ડ આગવી ઢબે લેવાય તો વધુ એક માંથી બીજું બીજામાંથી ત્રીજુ એમ આખી લીંક ખુલે વધુ કૌભાંડ સાથે વધુ સંડોવાયેલાઓના નામ પણ ખુલી શકે માટે શક્યતાઓ કંઇ નકારી ન શકાય અગાઉ બે કિસ્સાઓ ભુકંપ કૌભાંડ સહિતના એવા બન્યા છે કે ઉપરથી માત્ર દેખાતુ હતુ ચીંથરૂ અને સઘન એસીબી તપાસ થઇ અને ચીંથરૂ ખેંચાયુ ત્યા કૌભાંડની આખી શેતરંજી હાથ લાગી હતી બીજી તરફ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભુગર્ભ ગટરમાં થયેલા કૌભાંડની ફરિયાદ વ્યવસ્થિત તૈયાર થઇ રહી છે તેમાં પણ શૌચાલય કૌભાંડ જેવુ જ બધુ થાય તો નવાઇ નહી
આ કૌભાંડની વાત કઈક એવી છે કે નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર -06 મા વર્ષ 2014 થી 2017 દરમિયાન બનેલ શૌચાલયોમા ભ્રષ્ટાચાર થયા અંગેના આક્ષેપોવાળી અરજી એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. જે અરજીની તપાસમાં અમુક લાભાર્થીઓના એક સંસ્થાએ શૌચાલય બનાવી દીધેલ હોવા છતા બીજી સંસ્થાઓએ પણ તેવા લાભાર્થીઓના ખોટા ડોક્યુમેન્ટ વાળી અરજી ઉભી કરી, મહાનગરપાલિકામાંથી બીલ મુકી આર્થીક લાભ મેળવી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતું, આ ઉપરાંત લાભાર્થીઓએ સરકારની રોકડ સહાય મેળવીને શૌચાલય બનાવેલ હોવા છતા તેવા લાભાર્થીઓના રહેણાંક મકાને અમુક સંસ્થાઓએ બીજી વખત શૌચાલય બનાવી, ખોટી રીતે આર્થીક લાભ મેળવેલ અને તેવા લાભાર્થીઓએ પણ સરકારની યોજનાનો બે વખત લાભ લીધો હોવાનું પણ સામે આવ્યુ હતું.
આવી ગેરરીતિ કરી બનાવેલ શૌચાલયોના ખોટા બીલોમાં ચકાસણી કર્યા વગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એ પ્રમાણપત્રો આપીને પોતાની રાજ્યસેવક તરીકેની સત્તાનો દુર ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ હતું. જેથી લાંબી તપાસ બાદ એસીબીએ આરોપીઓ હસમુખભાઈ વલ્લભભાઈ બેરા, નાયબ ઈજનેર, જામનગર મહાનગરપાલિકા, વર્ગ -2, નિવૃત, કૌશલ વિજયભાઈ ચૌહાણ, અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3, જામનગર મહાનગરપાલિકા, દીપ પ્રવીણભાઈ વેકરીયા, વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3, જામનગર મહાનગરપાલિકા, નંદભૂમિ ગ્રામવિકાસ ટ્રસ્ટ, આણંદ અને ભગવતી ઝરી રેશમ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ, બોરના તા. લીંબડી, સુરેન્દ્રનગર, જામનગરના જ કવાડ કન્સ્ટ્રક્શન તેમજ ટપુભાઈ માધાભાઇ રાઠોડ સંસ્થા, જામનગર, શેખર શંકર ગોવિંદભાઇ (પ્રજાજન), જામનગર, જટુભા કલુભા જેઠવા (પ્રજાજન), જામનગર સામે એકબીજા સાથે મેળાપીપણું કરી, એકબીજાને મદદગારી કરી સરકારને રૂ. 78,800નું આર્થીક નુકશાન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું
જેને લઈને જામનગર એસીબીની ટીમે આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ-12, 13(1)(ઘ), 13(2), તથા ઈ.પી.કો. 1860 ની કલમ –467, 468, 34 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ ફરિયાદના પગલે મહાનગરપાલિકામાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો,
તો આ ગાળિયો પોતા પર મજબુત થશે તેવું માની આરોપીઓ હસમુખભાઈ વલ્લભભાઈ બેરા, નાયબ ઈજનેર, જામનગર મહાનગરપાલિકા,વર્ગ -2, નિવૃત, કૌશલ વિજયભાઈ ચૌહાણ, અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3, જામનગર મહાનગરપાલિકા,જામનગરના જ કવાડ કન્સ્ટ્રક્શનના ભરત કવાડ અને ભગવતી ઝરી રેશમ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ, બોરના તા. લીંબડી, સુરેન્દ્રનગર વાળાઓએ આગોતરા જામીનની અરજી કરી હતી. જે અરજી અનુસંધાને તપાસકર્તા એસીબીની ટિમ દ્વારા તૈયાર કરાયેલા સોગંધનમાં અને સરકારી વકીલ દલીલોને આધારે એડિશનલ સેસન્સ કોર્ટે તમામની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. જેને લઈને હવે આરોપીઓના આગોતરા રદ થયા હોઇ એસીબી ગમે ત્યારે ધરપકડ કરશે અને આગળની કાર્યવાહીથી આ કૌભાંડમાં માત્ર જેની સામે ફરિયાદ છે તેટલા જ કે તેનાથી વધુ સંડોવાયેલા છે તે બહાર આવશે.