Mysamachar.in:ગુજરાત
હવામાન અને ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર એ છે કે, આગામી ચોમાસું ટનાટન અને નિયમિત હોવા અંગે સર્વત્ર દહેશત છે. અહેવાલો અનુસાર, ગુજરાત સહિતના પશ્ચિમ-દક્ષિણ ભારતમાં આ વર્ષે ચોમાસું કેટલાંક દિવસનાં વિલંબથી શરૂ થઈ શકે છે અને, એથી પણ ગંભીર બાબત એ છે કે, આગામી ચોમાસું સામાન્ય ન રહે તેમજ અલ નીનોની અસરને કારણે ઉપાધિ સર્જનારૂ બની રહે તેવી પણ સંભાવનાઓ છે.ચોમાસામાં વિલંબ અને ચોમાસા પર અલ નીનો જેવી માઠી અસરો ભારત જેવાં દેશ માટે ચિંતાનો વિષય છે કેમ કે, ગુજરાત સહિત દેશભરમાં આપણું અર્થતંત્ર, મોંઘવારી અને રોજગારીની સાયકલ વગેરે બાબતો મહદઅંશે ચોમાસા પર નિર્ભર રહેતી જોવા મળે છે. આ સ્થિતિમાં ચોમાસાનાં પ્રકારમાં જરાક પણ આઘુંપાછું થાય એટલે ચિંતાનાં વાદળો છવાઈ જાય.
આ વર્ષે સ્થિતિ આ પ્રકારની હોવાનું અહેવાલો જણાવે છે. આપણે ત્યાં સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું એટલે કે, પશ્ચિમ દક્ષિણ ભારતથી શરૂ થતું ચોમાસું જૂનની પહેલી તારીખે કેરળથી પ્રારંભ પામી 10-15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી જતું હોય છે. આ વખતે વર્તારો એવો છે કે, કેરળમાં ચોમાસું 4 અથવા 7 જૂન આસપાસ શરૂ થઈ શકે છે. જો આમ થશે તો, ગુજરાતે વરસાદનો ઈંતજાર 20 જૂન સુધી કરવો પડે, એટલે કે હજૂ એક મહિના પછી ગુજરાતમાં ચોમાસું શરૂ થાય ! અને, ત્યાં સુધી પીવાનાં પાણીની પણ જડબેસલાક વ્યવસ્થા કરવી પડે. આ આખો વિષય સરકાર માટે પણ ચિંતાનો છે કેમ કે, જળાશયોમાં પાણીની સ્થિતિ પણ સંતોષજનક નથી !
આ ઉપરાંત ગુજરાત સહિત સર્વત્ર આ વર્ષે ચર્ચા એ પણ છે કે, આગામી ચોમાસું સામાન્ય કરતાં સહેજ નબળું પણ રહી શકે છે ! અલ નીનો અસરો જન્માવી શકે છે. જો આમ થશે તો વરસાદની નિયમિત પેટર્ન પર અસરો જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં આજની તારીખે પણ ક્યાંક ક્યાંક કમોસમી વરસાદ ચાલુ છે ! આ બધી બાબતોનો સરવાળો ગુજરાતને ચિંતામાં મૂકી શકે છે. જો કે સત્તાવાર રીતે હવામાન વિભાગે સૌને સામાન્ય અથવા સામાન્યથી સહેજ ઓછું – એવા ચોમાસાની આગાહી કરીને સૌને આશ્વાસન આપ્યું છે પરંતુ ખરી હકીકત તો ચોમાસું શરૂ થયા પછી જ જોવા જાણવા મળી શકે છે.