Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
આ વર્ષે સારી શરૂઆત બાદ વચ્ચે મેઘરાજા રિસાઈ જતા સરકાર સહિત લોકોની ચિંતા વધી ગઈ હતી, પણ જતા જતા ચોમાસું સારું રહ્યું એવામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વર્ષ 1960 પછી ચોમાસાની વિદાયમાં આ બીજો સૌથી મોટો વિલંબ થયો છે. રાજ્યમાં ચોમાસામાં કુલ 96.37 ટકા વરસાદ નોંધાયો છે. ગત 3 જૂને દેશમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે નૈઋત્ય ચોમાસાની સમગ્ર રાજ્યમાંથી વિદાય થઈ છે. રાજ્યમાં સપ્ટેમ્બરમાં કુલ 426.21 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ ચોમાસામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 115.87 ટકા નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે કચ્છમાં 112.09 ટકા વરસાદ નોંધાયો છે.
જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 143.57 ટકા વરસાદ નોંધાયો છે. જે ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે એ સૌરાષ્ટ્રમાં આવેલા છે. જામનગર જિલ્લામાં સિઝનનો 140.34 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટમાં 135.80 ટકા, જૂનાગઢમાં 130.03 ટકા વરસાદ નોંધાયો હતો. પોરબંદરમાં સિઝનનો 125.17 ટકા વરસાદ નોંધાયો હતો. જો જામનગર જીલ્લાની તાલુકાવાર વરસાદની વાત કરવામાં આવે તો
-કાલાવડમાં 217.82% સાથે 1381 મીમી વરસાદ
-જામજોધપુરમાં 118.22% સાથે 850 મીમી વરસાદ
-જામનગર શહેરમાં 109.02% સાથે 822 મીમી વરસાદ
-જોડીયામાં 145.50% સાથે 921 મીમી વરસાદ
-ધ્રોલમાં 149.75% સાથે 894 મીમી વરસાદ
-લાલપુરમાં 114.90% સાથે 833 મીમી વરસાદ
આમ જામનગર જીલ્લાના છ તાલુકામાં 140.35% વરસાદ આ ચોમાસાની સિઝનમાં નોંધાયો છે.