Mysamachar.in-ગુજરાત:
નરેન્દ્ર મોદી અને અમિત શાહનો અતૂટ આત્મવિશ્વાસ બરકરાર રહ્યો છે. ગુજરાતમાં આ વિધાનસભા ચૂંટણીમાં પણ મોદીની આગેવાની હેઠળ ભાજપાનો જયજયકાર થયો છે. સર્વત્ર કેસરિયો લહેરાઈ ચૂક્યો છે. વિરોધી તમામ મતો બે મુખ્ય પક્ષો તથા નાનાં પક્ષ અને અપક્ષોમાં વહેંચાઈ ગયા છે. પચાસ ટકાથી વધુ મતદાન ભાજપાની તરફેણમાં થયું છે. છેલ્લાં સમાચાર મળે છે કે, ભાજપાએ 157 બેઠકો કબજે કરી લીધી છે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોન્ગ્રેસ આવે છે અને ગુજરાત પરિવર્તન ઈચ્છે છે- એવો કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટનો પ્રચાર મતદારોએ ખોટો પૂરવાર કર્યો. ચૂંટણીનાં બંને તબક્કામાં મતદાન ઓછું થયું પરંતુ તે પૈકી પચાસ ટકા મતદાન વનસાઈડ ભાજપાની તરફેણમાં થયું.
એક અંદાજ મુજબ, ભાજપાને કુલ મતો પૈકી લગભગ 53 ટકા મતો પ્રાપ્ત થયાં છે. કોન્ગ્રેસને માત્ર 26 ટકા મતો મળ્યા. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ જ ચૂંટણીમાં બાર ટકા જેટલો વોટશેર એકત્ર કરી, કોન્ગ્રેસના કોફીનમાં ખીલો ઠોકી દીધો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે, ભાજપા157 બેઠકો પર આવી ચુકી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોન્ગ્રેસને ભાગે માત્ર 16 બેઠકો અને આમ આદમી પાર્ટી 5 બેઠકો સાથે ખાતું ખોલાવી રહેલી દેખાઈ રહી છે. ગુજરાતમાં મતદારોએ 27 વર્ષનાં કેસરી શાસનને વધુ પાંચ વર્ષ માટે રીન્યુ કરતો ચુકાદો આપી દીધો છે જેને પરિણામે ભાજપા છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોન્ગ્રેસ સન્નાટો અનુભવી રહી છે. આમ કોંગ્રેસ કે આપ મતદારોના મન સુધી પહોચવામાં ઘારી સફળતા હાંસલ કરી નથી શક્યા અને મોદી મેજિક જ ચાલ્યો તે વાત સ્પષ્ટ થઇ ગઈ છે.