Mysamachar.in-જામનગર
શહેરી વિસ્તારમાં સરકારી હોસ્પિટલો અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના પીએસસી, સીએચસી સેન્ટરોમાં સોફટવેરના ધાંધિયાથી માઁ કાર્ડની કામગીરી બંધ પડેલ છે. જેથી જરૂરીયાતમંદો મહામારીમાં પણ નાણા ખર્ચવા મજબુર બન્યા છે આથી આ સમસ્યાનો ઉકેલ લાવી માઁ કાર્ડની કામગીરી શરૂ કરાવવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય વિક્રમ માડમે આરોગ્યમંત્રીને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું કે, અંદાજે એકાદ મહિના પૂર્વે સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ માં વાત્સલ્ય કાર્ડ ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી અને સીએચસી દ્વારા અને શહેરી વિસ્તારમાં સરકારી હોસ્પિટલો દ્વારા કાઢી આપવામાં આવશે અને મ્યુનિસિપાલીટી કે તાલુકા પંચાયત દ્વારા કાઢવામાં આવે છે. તે પ્રથા બંધ કરવામાં આવેલ છે. પરંતુ સરકાર દ્વારા જ્યારથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મા અને માં વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ કરેલ છે,
ત્યારે સરકારના દવાખાના કે હોસ્પિટલોમાં સોફટવેર નહી ચાલતો હોવાનું કારણ દર્શાવી માં અને માં વાત્સલ્ય કાર્ડની નવા કાર્ડ કાઢવાની કામગીરી બંધ પડેલ છે. જેમની પાસે આવા કાર્ડ છે અને મુદત પૂર્ણ થયેલ છે તેમના કાર્ડ રીન્યુ કરવાની કામગીરી પણ થતી નથી. હાલમાં માં કાર્ડની તમામ કામગીરી સોફટવેર નહી ચાલતો હોવાના બહાના હેઠળ બંધ છે જેથી ગરીબ અને જરૂરત મંદ લોકો મહામારીના સમયમાં નાણા ખર્ચવા મજબુર બન્યા છે.
આથી આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સીએચસી દ્વારા તથા શહેરી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો દ્વારા તાત્કાલીક અસરથી માં વાત્સલ્ય કાર્ડ નવા કાઢી આપવા તથા રીન્યુ કરવાની કામગીરી ચાલુ કરાવી દેવા માટે કામગીરી શરૂ કરાવવા ધારાસભ્ય વિક્રમભાઇ માડમે માંગ ઉઠાવી છે.