Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં ગતરાત્રીના ભારે વરસાદ વરસ્યો અને જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે જામનગરના બન્ને ધારાસભ્યો આર.સી.ફળદુ અને હકુભા જાડેજાએ આ મામલે જરૂરી સમીક્ષાઓ કરી છે, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લામાં પાછલા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરથી ટેલિફોનિક સંવાદ કરી વરસાદી સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
જિલ્લાના ડેમ જળાશયોમાં આ વરસાદને પરિણામે જે નવા જળનો ઉમેરો થયો છે તેની વિગતો મેળવી હતી.તેમજ જિલ્લામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ, NDRF, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની ટૂકડીઓ અને 24×7 કાર્યરત કંટ્રોલ રૂમ, વીજ પુરવઠો, રોડ-રસ્તા, પરિવહન તેમજ કૃષિ-પાક સ્થિતિની વિગતો મેળવી જરૂરી સૂચન કર્યા હતા.હાલ જામનગર ખાતે અતિવૃષ્ટિના કારણે અનેક ડેમ ઓવરફ્લો થયેલ છે. જેમાં ઉમિયા સાગર, આજી, વીજરખી, ઉંડ, વાગડિયા વગેરે ડેમ ઓવરફ્લો થતાંની સાથે જ અનેક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તેમજ નદી કાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નદીના પાણી આવી ગયા છે. જામનગર જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થયા સાથે અમુક ચેકડેમો તૂટવાને કારણે પણ કાંઠાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાસ કૃષિમંત્રી આર.સી.ફળદુ પૂર પીડિતોની વહારે આવ્યા છે.
ઝીરો કેઝ્યુઅલટીના અભિગમ સાથે નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરીનું સતત મોનીટરીંગ કરી એક પણ વ્યક્તિને નુકસાન ન થાય અને પૂરમાં કોઈપણ જાનહાનિ ન થાય તે માટે સતત તકેદારી લઈને હાલ ચાર હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટની કામગીરી ચાલુ કરાવવામાં આવી છે. મંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સવારના પાંચ વાગ્યાથી તંત્ર સાથે સંપર્ક કરી તેમજ સ્ટેટ ડિઝાસ્ટરની રેસ્ક્યુ ટીમ, હેલિકોપ્ટરની વ્યવસ્થાઓ કરાવી બચાવ પ્રક્રિયાને તત્કાલ હાથ ધરી હતી.