Mysamachar.in-જામનગર:
જામજોધપુર લાલપુર મત વિસ્તારના સજાગ ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને રાસાયણિક ખાતરની તંગી અને તેને લઈને ખેડૂતોને ભોગવવી પડી રહેલ હાલાકી અંગે તાકીદે યોગ્ય થવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, ચિરાગ કાલરીયાના પત્ર મુજબ જામજોધપુર તેમજ લાલપુર તાલુકાના પ્રવાસ દરમ્યાન મોટા ભાગના ખેડૂતો દ્વારા રોષપૂર્વક જાણવા મળેલ છે કે ગત વર્ષે અતિ વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ અને હાલ શિયાળુ પિયત લેવા માટે ખેડૂતો પાસે પાણી છે, તો સામે રસાયણિક ખાતરની ખુબજ વ્યાપક પ્રમાણમાં તંગી સર્જાઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં અન્નદાતા ખેડૂતો ખુબજ ભીંસમાં છે ત્યારે આ શિયાળુ પિયતમાં ચણા, ઘઉં જેવા પાકોને પુરતો ઉતારો લેવા જરૂરી રસાયણિક ખાતર ઉપલબ્ધ થાય તો ખેડૂતોની રોજી રોટી મળી શકે તેમ છે. જેથી આ તમામ બાબતોને ધ્યાને લઇ જામજોધપુર તેમજ લાલપુર તાલુકામાં પૂરતા જથ્થામાં તેમજ સમયસર રસાયણિક ખાતર મળી રહે તે માટે નિયત સમય મર્યાદામાં યોગ્ય થવા રજૂઆત કરાઈ છે.