Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં સિંચાઇના ખાસ કરીને પંચાયત વિભાગના વધુ તેમજ જુજ કામો સ્ટેટ સિંચાઇના બાકી રહેતા સામાન્ય અને નાના મોટા બાકી કામોના કારણે ખેડૂતો હેરાન થાય છે, છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગમાં તેમજ રાજ્ય સિંચાઇ વિભાગમાં ઇજનેરથી માંડીને વર્ક આસિસ્ટન્ટ વગેરે સ્ટાફની ઘટ હોવાથી સરકારે ફાળવેલા સિંચાઇ કામની ગ્રાન્ટ પડતર પડી છે અને સ્ટાફની ઘટના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ચેકડેમ સહિતના કામો લટકી પડતા આ વર્ષે પણ ચોમાસામાં હજારો ગેલન પાણી દરિયામાં વહી જવાથી મોટો ફટકો પડયો છે,
જામનગર, ધ્રોલ, જોડિયા, કાલાવડ સહિતના વિસ્તરોમાં અસંખ્ય સિંચાઇના પડતર કામો મામલે ગાંધીનગર સુધી રજૂઆતો થઇ છે, રાજ્યના મુખ્યમંત્રીના સચિવના અધ્યક્ષસ્થાને મળેલ એક મીટીંગમાં સિંચાઇ વિભાગના સચિવ તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અધિક્ષક ઇજનેર સમક્ષ જામનગર-ધ્રોલ-જોડિયા તાલુકાના સિંચાઇના લગતા પ્રશ્ર્નોની રજૂઆત થઇ છે હવે જોવાનુ છે ઉચ્ચ કક્ષાએ રજુઆત બાદ કામ કેટલી ઝડપે થઇ રહ્યા છે?
જેમાં ખાસ કરીને જોડિયા તાલુકાના બેરાજા અને બારાડી ગામે કંકાવટી નદી પર સેલાનીપીરની જગ્યા પાછળનો ક્ષાર અંકુશ વિભાગ હસ્તકનો ચેકડેમ રીપેર કરવા, બાલાચડી દરીયાનો પારો બાંધવા જોડિયા તાલુકાના ખીરી ગામે બંધારાની 2 ફુટ ઉંચાઇ વધારાવા, ફુલઝર-1 (દુધાળા) ડેમની વેણ કેનાલમાંથી લીફટ કેનાલ, જામનગર જિલ્લાની ઉંડ-1 સિંચાઇ યોજનાની કટીંગ કેનાલના કામની નવી એજન્સી નિમવી ઉંડ-1 સિંચાઇ યોજના હેઠળની ફલ્લા સેકશનની કટીંગ કેનાલના કામની એજન્સીને સત્વરે ટર્મીનેટ કરી નવી એજન્સી ફીકસ કરી કામપુર્ણ કરવા ઉંડ નદી ઉપર ભાદરા ગામે ચેકડેમ બનાવો, જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આજી નદી પર સિંચાઇ ડેમના હેઠવાસમાં ટીચીગનું કામ, જોડિયા દરિયા કાંઠે આવેલ રેકલેમેશનનો પાળો રીપેર કરવાની રજુઆતો છે.
જ્યારે જામનગર તાલુકાના વિજરખી સિંચાઇ યોજનાની કેનાલને ડીપ કેનાલમાં પરીવર્તીત કરવી, ધ્રોલ તાલુકામાં અતિવૃષ્ટીથી તુટેલા તળાવો તથા વેસ્ટવિયર રીપેર કરવા, ઉંડ-1, ઉંડ-2, કંકાવટી, ફુલઝર, વોડીસંગ સિંચાઇ યોજનાઓની કેનાલોને કટીંગ કેનાલમાં પરીવર્તીત કરવાની મંજૂરી આપવા જોડિયા બંધારા યોજનાની તાત્રીક મંજુરી આપવા, બાલંભા બંધારા યોજના પાળો રીપેર કરવા, વોડીસંગ સિંચાઇ યોજનામાં એડીશનલ માઇનોર કટીંગ નહેરને બદલે બંધ પાઇપ નહેર બનાવવા, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ (વોટરસેડ) અંતર્ગત થયેલ ચેકડેમો રીપેરીંગ કરવા, બેલા ગામથી પશ્ર્ચિમ દિશામાં આવેલ ડેમી નદી પર કોઝવે કમ ચેકડેમ બનાવવા, જાંબુડા ગામો આવેલ આંધણીની ધારવાળો ચેકડેમ તથા ખોડિયાર માતાના ધુનામાં આવેલ ઓરીયા વાળો ચેકડેમ રીપેર જરૂરી હોય તેવી રાઘવજીભાઇએ રજૂઆત કરી છે.
ઉપરાંત જામનગર તાલુકાના જગા ગામે લુસીયા વોકળા ઉપર ચેકડેમ બનાવવા, કંકાવટી નદી પર રીવર રીઝવેશન પ્રોજેકટ અંતર્ગત ચેકડેમો બનાવવા, જામનગર તાલુકાના લોઠીયાથી ખોજા બેરાજા રોડ પર રાડિયા વિસ્તારનો ચેકડેમ રીપેર, જામનગર તાલુકાના ચંગા ગામ પંચાયત કચેરી પાસેથી સામાકાંઠે રંગમતી નદી ઉપર કોઝવે બનાવવા, ધ્રોલ તાલુકાના લતીપુર ગામે આવેલ ચેક ડેમ નં.2 અને 3 રીપેરીંગ કરવા, ખીરી-હડિયાણા ટી.આર. કેનાલનું અધુરૂ કામ તાત્કાલીક પુર્ણ કરવા, જોડિયા ગામનો મસાણીયા ચેકડેમ તાત્કાલીક રીપેર કરવા, બાલાચડી ગામનું તળાવ કંકાવટી સિંચાઇ યોજનાની કેનાલ લંબાવી ભરવા રજુઆત થઇ છે.