Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં કોરોનાનાં સંભવિત કેસો શોધી કાઢવા વિવિધ કવાયતો ચાલી રહી છે. હવે એક વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકાર એપનો ઉપયોગ કરી, સંભવિત કોરોના દર્દી સુધી પહોંચવા ઇચ્છે છે. આ માટે આગામી ગણતરીના દિવસોમાં રાજયનો આરોગ્ય વિભાગ સજજ થઇ જશે, એમ સૂત્રો જણાવે છે.
આ પ્રક્રિયા એ રીતે હોય છે કે, કોઈ પણ વ્યક્તિ પોતાના માટે અથવા પરિવારનાં કોઈ સભ્ય માટે કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી કે સળેખમ અથવા ઉધરસ માટે છૂટક અથવા જથ્થાબંધ દવા ખરીદશે તો તેની વિગતો રાજ્યનાં આરોગ્ય વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. કોરોનાની ગત્ લહેર વખતે રાજ્યના દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૂત્રો કહે છે:ગુજરાતમાં કોરોનાની સંભવિત લહેર સામે લડવા આરોગ્ય વિભાગ(હોસ્પિટલ વગેરે)ની આંતરમાળખાકીય સુવિધાઓ ચકાસ્યા પછી હવે સરકાર વધુ એક ડગલું આગળ વધવા આયોજન કરી રહી છે. કોરોનાની ગત્ લહેર વખતે સરકારે એક એપ જાહેર કરેલી જેનાં આધારે રાજ્યનાં મેડિકલ સ્ટોર્સની વિગતો એકત્ર કરી, કોરોનાનાં સંભવિત કેસો શોધી કાઢવા કસરત કરવામાં આવી હતી. આ વખતે પણ પૂર્વતૈયારી રૂપે આ એપનો ઉપયોગ કરવા એકાદબે દિવસમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એમ માનવામાં આવે છે.
હાલમાં જામનગર સહિતના રાજ્યનાં શહેરોમાં કોરોનાનાં કેસ બહુ ઓછાં છે પરંતુ શિયાળાની ઠંડી ચરમ પર હોવાથી તાવશરદીનાં પુષ્કળ કેસો છે. લોકો પોતાના ફેમિલી ડોક્ટરની સેવા લ્યે છે અથવા સીધાં જ મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાઓ મેળવી લ્યે છે. આવા કેસોમાં કોરોના ટેસ્ટીંગ થતું નથી તેથી કોરોના કેસ નોંધાતા નથી.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે, આ પ્રકારના કેસો પૈકી ઘણાં કેસ એવાં પણ હોય શકે જેની ટ્રાવેલ હિસ્ટ્રી હોય શકે છે. અથવા તેઓએ કોઈ મેળાવડામાં ભાગ લીધાં પછી તેમને તાવ, શરદી કે ઉધરસ થયાં હોય. આ પ્રકારના કેસો શોધી કાઢવા ટ્રેક, ટેસ્ટ અને ટ્રીટમેન્ટને અનુસરવું જરૂરી બની જતું હોય છે.
ગત્ લહેર વખતે સરકારે આ એપનો ઉપયોગ કરી કોરોનાનાં 5,800 જેટલાં કેસ રાજ્યમાંથી શોધી કાઢ્યા હતા. દેવભૂમિ દ્વારકા સહિતના ઘણાં જિલ્લાઓમાં આ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એપ nic અને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મેડિકલ સ્ટોર્સમાંથી બિલ વિના, પ્રિસ્ક્રીપ્શન વિના કે સાથે તાવ, શરદી કે ઉધરસની દવાઓ ખરીદનાર ગ્રાહકોની વિગતો સંબંધિત મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ આ એપમાં ફરજિયાતપણે અપલોડ કરી સરકારમાં મોકલી આપવાની રહેશે.
-જામનગર કોર્પોરેશન કહે છે…
આ એપ અંગે અને એ માટેની રાજ્ય સરકારની તૈયારી અંગે જામનગરમાં શું સ્થિતિ છે ? તે જાણવા Mysamachar.in દ્વારા કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં વડા ડો. સુભાષ પ્રજાપતિનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે, રાજ્ય સરકારમાંથી હજુ સુધી આ એપ અંગે કોઈ સૂચના કે પરિપત્ર આવ્યા નથી.