Mysamachar.in-જામનગર
રાજ્યમાં આપણે વિકાસ વિકાસની અનેક ગુલબાંગો સાંભળતા હોઈએ છીએ પણ રોડ રસ્તા કે જે લોકો માટે પાયાની સુવિધા પૈકીની એક સુવિધા છે. તેના જ કોઈ ઠેકાણા ના હોય તો જામનગરના કાલાવડ થી રાજકોટને જોડતા રસ્તાની સ્થિતિનો તમે જ નક્કી કરો કે આ વિકાસ કોનો છે..? રોડ રસ્તાની ગુણવતા કેવી તેનો પર્દાફાશ મોટાભાગે વરસાદ પડે એટલે થઇ જ જાય…જામનગરના કાલાવડના મોટાભાગના લોકોનો રોજીંદો વ્યવહાર જેટલો જામનગર સાથે જ એટલો જ રાજકોટ સાથે પણ છે, ત્યારે જે રસ્તેથી રોજબરોજ લોકોને પસાર થવું છે તે રસ્તો જ મગરની પીઠથી પણ બદતર હોય તો….
કાલાવડ થી રાજકોટ ને જોડતો રસ્તો છે, આ રસ્તો પહેલા પણ બિસ્માર હતો અને આ રસ્તા તરફ ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું જ નથી અને તેમાં પણ કાલાવડમાં આ વર્ષે ભારે વરસાદ પડતા તો આ રસ્તો કહેવાને લાયક પણ રહ્યો નથી…. સ્થાનિકોમાં થી જાણવા મળ્યા મુજબ આ રસ્તાનું કામ વારંવાર થયું છે, પણ કામમાં કોઈ ગુણવતા ના હોય વારંવાર આ રસ્તો આ રીતે જ ખુલી જાય છે, અને મોટા મોટા ગાબડાઓ પડી જાય છે, સ્થાનિક નબળી નેતાગીરી પણ આ માટે આટલી જ જવાબદાર છે, કારણ કે સ્થાનિક નેતાઓમાંથી આ રસ્તાઓ માટે મોટાભાગે કોઈ અવાજ ઉઠાવતું ના હોવાનું પણ સ્થાનિકોનું માનવું છે. દરમિયાન રાજકોટ અને કાલાવડ વચ્ચે કાયમી વ્યવહાર હોવાના કારણે કલાવડની જનતાને રાજકોટ નજીક પડતું હોવાથી ઈમરજન્સીથી માંડીને પ્રસૂતિવાળી બહેનોને રાજકોટ રિફર કરવા સમયે નાકે દમ આવી જતો હોવાથી વ્યાપક ફરિયાદ પણ ઉઠવા પામી છે.
આ બિસ્માર હાઇવે રોડ વિશે માર્ગ અને મકાન વિભાગ સત્વરે પગલાં લેશે કે પછી જૈસે થે..? રસ્તાઓ બિસ્માર પ્રજા બે હાલ અને સરકાર માલામાલ વાહન ચાલકો સરકારને ટેકસ ચૂકવે છે. અને રસ્તાઓ આ હાલતમાં તે સહિતના અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. રોડ રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મીલી ભગતથી રસ્તાઓ ટૂંકા ગાળાઓમા જ ભાંગીને ભુક્કો થઈ જાય છે. માત્રને માત્ર મોનિટરિંગની ખામી જ નહી પણ અનેક કારણો જવાબદાર છે. નહીં તો ગુજરાતના આ હાઇવે રસ્તાઓની આવી હાલત ન હોય રાજકોટથી કાલાવડનો હાઇવે રોડ છેલ્લા ત્રણ વર્ષથી આવી જ હાલતમાં છે. સરકાર વાહનોનો પુરેપુરો ટેકસ વસૂલે છે. તો આવા હાઇવે રોડના રસ્તાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા લોક માંગણી ઉઠવા પામેલ છે.
-કાલાવડની સ્થાનિક નેતાગીરી નબળી હોવાનો પુરાવો…
આ રસ્તાની હાલમાં જ નહિ પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવી હાલત હોવા છતાં પ્રજાના મતોથી જે તે હોદાઓ પર બિરાજમાન નેતાઓ કેમ ચુપ બેઠા છે.? તે સવાલ છે સ્થાનિક નબળી નેતાગીરીને પાપે પ્રજાએ આવી હાલાકી ભોગવવી પડે તે ખુબ શરમજનક છે, નેતાઓ જાગી જજો નહિતર આ તો પબ્લિક છે બધું જાણે છે ક્યારે ફેંકાઈ જશો ખબર પણ નહી પડે..
-શું કહ્યું PWD ના કાર્યપાલક ઈજનેર જતીન ઓઝાએ…
જીલ્લાના કેટલાય રસ્તાઓનો સોથ બોલી ગયો છે, અને ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળેલા જામનગર માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતીન ઓઝાએ ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે કાલાવડ થી રાજકોટ તરફ જતો વચ્ચેનો રસ્તો છે તે અમે રીપેરીંગ કરી રહ્યા છીએ, અને રસ્તો વધુ મજબુત થાય તેના માટેનું ટેન્ડર પણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, બાકી જયારે જયારે વરસાદ પડે ખાડા પડે ત્યારે માટી મોરમ નાખીને અમારા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે.