Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના સૌથી પોષ માનવામાં આવતા વોર્ડ નંબર 5 ના પંચવટી ગૌશાળા વિસ્તારના રહેવાસીઓએ એકઠા થઇ અને જીલ્લાના અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરી છે, મહત્વનું છે કે આ વિસ્તારમાં હાલના જામનગરના મેયર બીનાબેન કોઠારી પણ રહે છે તેથી તેવો પણ સ્થાનિકો સાથેની રજુઆતમાં જોડાયા હતા આ રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ..
અમો પંચવટી ગૌશાળા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી રહેવાસીઓ વસવાટ કરીએ છીએ. હાલ વિસ્તારમાં 60% હિન્દુ પરિવાર વસાવટ કરે છે. અને 40% અન્ય પરિવાર વસવાટ કરે છે. અમારી સોસાયટીમાં ચોક્કસ તત્વો દ્વારા ઓછા ભાવે મકાન પડાવી લેવા બાબતે કારસો થતા રહે છે. તદ્ઉપરાંત વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર જમાતખાનું, ફાયરીંગ, સોપારી આપવી એવી ઘટનાઓ બનેલી છે. અને બે પ્લોટોમાં હાલ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કેસ ચાલું છે.
પ્રવર્તમાન સંજોગોમાં અમારી સોસાયટીના વિસ્તારમાં રહેતાં તમામ હિન્દુ પરિવારોના પારંપરિક સંસ્કારો, રીતીરીવાજો તથા જીવનપ્રણાલી અન્ય ધર્મ કરતા અલગ હોવાના કારણે અને સંસ્કૃતિની રક્ષા થાય તેવા શાંતિપૂર્ણ ઉપાય તરીકે “ગુજરાત અશાંતધારો” અન્ય મહાનગરપાલિકા જેવા કે, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને નગરપાલિકા પાટણ, અંબાજી ની જેમ જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં તાત્કાલિક અસરથી અન્ય શહેરી વિસ્તારમાં કરવામાં આવેલા અમલીકરણ મુજબ લાગુ કરવા આપને નમ્ર વિનંતી છે.આવનાર વર્ષોમાં લોકો શાંતિ અને સલામતિથી રહી શકે તે માટે ઉપરોકત બાબતે નમ્ર અરજ છે કે, અમારા વિસ્તાર પંચવટી ગૌશાળામાં આવેલ તમામ બંગ્લોઝ, પ્લોટ, ફલેટને “ગુજરાત અશાંતધારો’” અંતર્ગત સુરક્ષા કવચ આપવા વિનંતી છે.