Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, ઓળખાણ સૌથી મોટી ખાણ છે. અને, આ કહેવત પ્રમાણે જામનગરમાં એવાં ઘણાં ધંધાર્થીઓ છે જેઓ પોલિટીકલ ઓળખાણને કારણે જિલ્લામાં વિવિધ સ્થળોએ ખાણો ખોદી રહ્યા છે, અને દિવસે-દિવસે વધુ ચિક્કાર કમાઈ રહ્યા છે. બીજી બાજુ, સરકારનાં ચોપડે જિલ્લામાં માત્ર 415 ખાણલીઝ છે. જે પૈકી અમુક ખાણો તો પરચૂરણ જ છે. જિલ્લાની કુલ 415 ખાણો પૈકી 160 ખાણો સાથે જિલ્લામાં સૌથી શ્રીમંત તાલુકો જામજોધપુર છે. આ તાલુકાને કુદરતે ચિક્કાર ખનિજ સંપત્તિ આપી છે. તેની સામે આ દ્રષ્ટિએ સૌથી ગરીબ તાલુકો ધ્રોલ છે, જ્યાં માત્ર 10 જ ખાણલીઝ છે.
જામનગર જિલ્લામાં ખનિજસંપત્તિ અંગે જોઈએ તો સૌથી વધુ લીઝ બાંધકામ લાઈમ સ્ટોનની છે. 415 પૈકી 184 લીઝ હાલ આ માલ જમીનમાંથી ખોદે છે. અને તેની સૌથી વધુ લીઝ જામજોધપુરમાં છે. લાઈમ સ્ટોન લીઝ બિઝનેસમાં બીજાં નંબરે કાલાવડ તાલુકો છે, જ્યાં 45 લીઝ છે. લાલપુર તાલુકામાં આ ચીજની લીઝ માત્ર 14 છે. જિલ્લાનાં અન્ય તાલુકાઓમાં લાઈમ સ્ટોન લીઝ હાલ નથી.
જિલ્લામાં ખનિજનો બીજો મોટો બિઝનેસ બ્લેક ટ્રેપનો છે. આ કાળમીંઢ પથ્થર પણ બાંધકામ ઉપરાંત રસ્તાઓ બનાવવા ખૂબ ઉપયોગી છે. તે માટેનાં ભરડિયાઓ પણ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં છે. બ્લેક ટ્રેપની સૌથી વધુ લીઝ જામનગર(44) અને લાલપુર(43) તાલુકાઓમાં છે. જિલ્લામાં આ મટિરીયલની કુલ લીઝ 132 છે. કાલાવડ તાલુકામાં 23 લીઝ છે, જોડિયા પંથકમાં 10 લીઝ, જામજોધપુર પંથકમાં 9 લીઝ અને ધ્રોલ પંથકમાં માત્ર 3 લીઝ છે.
જિલ્લામાં ત્રીજો મોટો ધંધો સાદી રેતીનો છે. જેની 56 લીઝ રેકર્ડ પર છે. રેતીની સૌથી વધુ 21 લીઝ જોડિયામાં, 13 જામનગર તાલુકામાં અને 10 લીઝ લાલપુર પંથકમાં છે. ધ્રોલમાં 7, જામજોધપુરમાં 3 અને કાલાવડમાં રેતીની માત્ર 2 લીઝ છે. આ ઉપરાંત જિલ્લામાં હાર્ડ મોરમ, સોફટ મોરમ અને ચોકની પણ લીઝો આવેલી છે, જે પરચૂરણ ધંધા છે. સ્પર્ધા વધુ છે.
-બાંધકામોના આ મટિરીયલનો બેનંબરી બિઝનેસ જિલ્લામાં કરોડોનો છે
આપણે સૌ જાણીએ છીએ કે, સરકારી ચોપડે ફાળવાયેલી લીઝ તરીકે ન નોંધાયેલી જમીનો એટલે કે, ગેરકાયદે ખાણોમાંથી રાતદિન ચિક્કાર માલ વાહનોમાં લોડ થતો હોય છે. તેને કારણે આ બિઝનેસનાં માલેતુજારોના કબાટ અને તિજોરીઓમાં રાતદિવસ નાણું લોડ થતું હોય છે. અને, સૌ એ પણ જાણે જ છે કે, આ પ્રકારના ધંધાર્થીઓ પર નેતાઓનાં ચાર હાથ હોય છે. કારણ કે, સામાન્ય નાગરિકો તો ચૂંટણીમાં મતદાન સિવાય ક્યાંય કામ ન આવે ! તંત્રને સાચવવું માલેતુજારો માટે આસાન હોય છે. અને, સ્થાનિક તંત્રો નાનાં આંતરડા ધરાવતાં હોય છે. બાકીની કૃપા ગાંધીનગરથી ઉતરતી હોય છે, જરૂર પડે ત્યારે.