Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં રસ્તે રખડતા અને અમુક પશુમાલિકો દ્વારા રખડાવવામાં આવતા પશુઓના કાબુમાં કરવા માત્ર જાહેરનામાઓ કરવા સિવાય કોઈ કાયમી ઉકેલ આવે કે પછી કડક પગલા ભરી દ્રષ્ટાંત બેસાડી શકાય તેવી કોઈ કાર્યવાહી મનપા કરતુ નથી,(આ વાસ્તવિકતા છે તે સૌ જાણે છે સ્વીકારે નહી તે અલગ વાત છે) એવામાં હવે ઘાસચારો કબજે કરવાની યાદી મનપાની સોલીડ વેસ્ટ શાખાના નાયબ ઈજનેર દ્વારા જારી કરવામાં આવી છે. અને તેમાં છેલ્લા એક સપ્તાહમાં કેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો તેની વિગતો દર્શાવી છે, પણ આવું કરવાથી ઢોરની સમસ્યા કાબુમાં આવી જશે.?
આ યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાલુ માસ એટલે કે આજ દિવસ સુધીના 24 દિવસમાં 146 રખડતા ભટકતા ઢોરને પકડવામાં આવેલ છે.તો શું આ કાર્યવાહી પુરતી છે ખરા.? તમારા અંતર આત્માને પુછજો કે આટલા ઢોર પકડાયા બાદ રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ ઓછો થયો છે ખરા.? વધુમાં આ પ્રેસનોટ પર નજર કરીએ તો તેમાં ઘાસચારો વેચાણ કરતા આસામી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે, તો શું કોઈ ઢોરમાલિકો મનપાને મળતા જ નથી કે પછી નક્કર કાર્યવાહી કરવાને બદલે દેખાડો જ કરવામાં રસ છે. આ સવાલ એટલા માટે છે કે શહેરીજનો પરેશાન છે માટે શાશકો અને અધિકારીઓ જાગવું પડશે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ થાય તે દિશામાં કાર્યવાહી માટે વિચારવું પડશે…નહિતર નિર્દોષ શહેરીજનો આવા પશુઓનો ભોગ બનતા રહ્યા છે અને રહેશે…
મનપાની પ્રેસનોટ પર નજર કરીએ તો જાહેર રોડ રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેંચાણ કરતા આસામી વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાસચારો જપ્તીકરણ તથા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને છેલ્લા અઠવાડીયામાં કુલ-169 જેટલા આસામીઓને ઘાસચારો જપ્ત કરી, રૂા.68000 વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ ચાલુ માસ દરમ્યાન જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા કુલ-146 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. ઉપરાંત લાલપુર રોડ ઉપર જાહેરમાં ઘાસચારો વેચાણ કરતા અગામી લાલજીભાઈ રામજીભાઈ પરમાર વિરૂદ્ધ પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.(કેમ એક સામે જ ફરિયાદ ઢોરમાલિકો સામે ફરિયાદ શા માટે નહિ)
આગામી સમયમાં પણ શહેર ઘાસચારો જપ્તીકરણ કામગીરી તેમજ ઢોર પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે સઘન બનાવવામાં આવશે. (ક્યારે વધુ શહેરીજનો તેનો ભોગ બને પછી.?) આથી ઢોર માલિકોને પોતાના માંલિકીના ઢોરો જાહેર રોડ ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે (તાકીદ…તાકીદ ક્યાં સુધી કરશો પગલા લો ને) અને જાહેર રોડ-રસ્તા ખાનગી માલિકીના ઢોરો પકડવાના કિસ્સામાં આ ઢોરોને છોડવામાં નહિ આવે તેમજ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.(જો કે આવું કહે છે પણ મનપા કરતુ નથી તે હકીકત છે)