Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉત્સવપ્રેમી જનતાએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ ઉજવ્યું હતું, પણ અબોલ પક્ષીઓ માટે મકરસંક્રાંતિનો દિવસ કષ્ટદાયક નિવડયો હતો. જેમાં જુદી-જુદી પ્રજાતિના 60 થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જ્યારે પાંચ કબુતર મોતને શરણે પહોંચ્યા છે.જામનગર શહેરમાં મકરસંક્રાંતિને લઈને તેમ જ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, ઉપરાંત જામનગરની એનજીઓ સંસ્થા લાખોટા નેચર ક્લબ, એનીમલ હેલ્પલાઇન, જીવ સેવા ફાઉન્ડેશન, તેમજ ખીજડીયા મરીન ફોરેસ્ટ વગેરે દ્વારા પક્ષીઓને બચાવવા માટેનું કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને શહેરના જુદા જુદા સ્થળો પર પક્ષીઓની સારવાર માટેના હંગામી ટેન્ટ ઉભા કરી દેવાયા હતા.
જેના અનુસંધાને સમગ્ર દિવસ દરમિયાન કુલ 60 જેટલા ઘાયલ પક્ષીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા. જેમાં 55 કબુતર, બે કુંજ (કોમન ક્રેન), 2 સિગલ, અને 1 પોપટનો સમાવેશ થાય છે. જુદા જુદા સ્થળ પર હાજર રહેલી ટીમ દ્વારા તમામ પક્ષીઓને જરૂરી સારવાર આપી દેવામાં આવી છે, અને તેઓને બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પતંગની દોરના કારણે પાંચ કબૂતરો કે જેઓને બચાવી શકાયા નથી, અને તેઓ મોતની શરણમાં પહોંચી ગયા છે. શહેરની એનજીઓ સંસ્થા ફોરેસ્ટ વિભાગની ટીમ વગેરેએ સવારે 8 વાગ્યાથી મોડી સાંજ સુધી કરુણા અભિયાન હાથ ધર્યુ હતું, અને ઘાયલ પક્ષીઓની સારવાર કરીને જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું