Mysamachar.in-ગુજરાત:
ગુજરાતની ચૂંટણીની આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જાહેરાત થશે, એવો સમાચાર એજન્સી ANI નો રિપોર્ટ હમણાં બ્રોડકાસ્ટ થયો પરંતુ રાજકીય પંડિતો આ સંભવિત જાહેરાતની અન્ય બાજુઓ પણ ચકાસી રહ્યા છે અને એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે, સંભાવના એ પણ રહે છે કે આજે માત્ર હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત થાય. રાજકીય નિરીક્ષકો આમ વિચારી રહ્યા છે તેની પાછળ કારણ એ છે કે, આજે ચૂંટણીની જાહેરાત થાય તો ગુજરાત સરકાર આયોજિત સંખ્યાબંધ ભાવિ કાર્યક્રમોનું શું.?
જો કે અત્રે એ પણ નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તાજેતરમાં રાજ્યનાં તમામ વિભાગોને સૂચના આપી હતી કે, પંદરમી ઓક્ટોબર પહેલાં લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો આટોપી લેવા. તેઓને ખ્યાલ હતો ? ! કે, ચૌદમીએ દિલ્હીમાં ચૂંટણી પંચ પત્રકાર પરિષદ યોજશે. બીજી બાજુ રાજકીય પંડિતો એવું કહી રહ્યા છે કે, ગુજરાતમાં હજુ ઘણાં સરકારી કાર્યક્રમો યોજાવાના બાકી છે. આજે અને આવતીકાલે શનિવારે રાજ્યભરમાં ગરીબમેળાઓ યોજાઈ રહ્યા છે,
આગામી દિવસોમાં ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો ત્રણ દિવસ માટે યોજાવાનો છે જેમાં ખુદ વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આ બધું જોઈએ તો, ગુજરાતની ચૂંટણીની જાહેરાત આજે થવાની સંભાવના પાતળી રહે છે. અત્રે એ પણ નોંધનીય છે કે, રાજ્યમાં ભાજપાની ગૌરવયાત્રા પણ ચાલી રહી છે. સૌને ચૂંટણીની જાહેરાત આજે થાય તેની ઉત્તેજના અને ઉત્સુકતા જરૂર છે પરંતુ એમ શક્ય બનશે ?! એ મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. જોઈએ આજની જાહેરાતમાં શું થાય છે ?!