Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકાર દ્વારા મહેસુલી કાયદાઓ અને પ્રક્રિયાઓમાં સરળતા લાવવા માટેના પ્રયાસો સમયાંતરે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે, એવામાં તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક નિર્ણય કર્યો છે જેને કારણે હવે જમીન તકરારી નોંધની અપીલની સુનાવણી સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઈ શકશે, આ માટે આખરી મંજૂરી અપાઈ છે. આ પહેલાં તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી જેમાં સરળીકરણ થતા મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે તેમ માનવામાં આવી રહ્યું છે,
સરકારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાની રહેશે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે. જેની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજુરી આપી દીધી છે.
આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. હક્કપત્રક એટલે ગામ નમુના નં.6 જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે 11 પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય કરવાની સત્તા નાયબ મામલતદારની છે.ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.
આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી, તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતો વખત તેમાં સુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે. હવે આ નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.