Mysamachar.in-જામનગર
સૌરાષ્ટ્રમાં જામનગર એક વિશિષ્ટ મહાનગર લેખાય છે. આ વિસ્તારમાં વર્લ્ડક્લાસ ઉદ્યોગો છે ઉપરાંત બ્રાસસિટી તરીકે જામનગર સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આપણું મહાનગર ખાસ કરીને લાલપુર બાયપાસ વિસ્તારમાં હજારો અને તોતિંગ વાહનોની મોટી અવરજવરને કારણે અતિ વ્યસ્ત વાહનવ્યવહાર ધરાવે છે. અને, લાંબા સમયથી આ વિસ્તારમાં ફ્લાયઓવરની તાતી જરૂરીયાત રહી છે. હવે આ સમય આવી ચૂક્યો છે. 1,000 મીટર લાંબા ફ્લાયઓવરની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. જેનું ખાતમુહૂર્ત ગત્ દસમી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થયું હતું. રૂ. 64.91 કરોડનાં ખર્ચે આ ફ્લાયઓવર નિર્માણ પામશે.
આ સ્થળે ફ્લાયઓવર બ્રીજ નિર્માણ કરવા માટે જામનગર મનપાના સીટી ઈજનેર ભાવેશ જાની સહિતની ટીમ લાંબા સમયથી પ્રયત્નશીલ હતી અને તેના ફળસ્વરૂપ આ પ્રોજેક્ટનું ખાતમૂહર્ત વડાપ્રધાને કરતા મનપાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાની મહેનત રંગ લાવી છે.અને આગામી સમયમાં લાલપુર બાયપાસ ચોકડી ખાતે ખુબ અનુભવ ધરાવતી રણજીત કન્સ્ટ્રકશન કંપની દ્વારા આ કામ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાલપુર બાયપાસ ચોકડી પર એક હાઈવે લાલપુર તરફથી આવી રહ્યો છે. આ માર્ગ પર રિલાયન્સ, નયારા જેવી વિશ્વકક્ષાની કંપનીઓ તથા જીએસએફસી કંપનીનાં હજારો તોતિંગ વાહનો રાતદિન ચાલતાં રહે છે. આ ઉપરાંત લાલપુર રોડ પર દરેડ ગામનાં પાછળનાં ભાગે ત્રણ ઉદ્યોગનગર આવેલાં છે. જેથી હજારો ઉદ્યોગકારો તથા કામદારો તેમજ ઉદ્યોગનગરોના સેંકડો મુલાકાતીઓને આ માર્ગ તથા ચોકડી પરથી પસાર થવાનું રહેતું હોય છે.
આ ચોકડી પરથી વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને રાજકોટ તથા ગુજરાત-દેશનાં અન્ય મથકોને જોડતો બાયપાસ પણ પસાર થાય છે. આ ઉપરાંત જામનગર શહેરને દરેડ-કનસુમરા ઉદ્યોગનગરો સાથે જોડતો માર્ગ તથા જામનગરને લાલપુર-પોરબંદર સાથે જોડતો માર્ગ પણ આ ચોકડી પરથી પસાર થતો હોય, વર્ષના 365 દિવસ અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. લાખો લિટર ઈંધણનો વ્યય થાય છે. લોકોનાં હજારો કલાકો વેડફાય છે. વાહનોની કતારો લાગી જાય છે. અવારનવાર નાનાં મોટાં અકસ્માતો થતાં રહે છે. જીવલેણ અકસ્માતમાં સેંકડો લોકો જાન ગુમાવે છે. કાયમી ખોડખાંપણ મેળવે છે. ટ્રાફિક જામને કારણે ઝગડાઓ પણ થતાં રહે છે ! આ બધી સમસ્યાઓ નિવારવા લાલપુર બાયપાસ ચોકડી પર નવો ફ્લાયઓવર બની રહ્યો છે.
આ અગાઉ વિવિધ વેપાર ઉદ્યોગ સંગઠનોએ તથા જનપ્રતિનિધિઓએ પણ અહીં ફ્લાયઓવર માટે રજૂઆતો કરતાં રાજય સરકારે આ ફ્લાયઓવર નિર્માણની જવાબદારી જામનગર મહાનગરપાલિકાને સોંપી છે. અને જે બાદ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર અને સીટી ઈજનેર ભાવેશ જાનીના માર્ગદર્શનમાં આ પ્રોજેક્ટનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા મનપાના પદાધિકારીઓ અને સરકારે આ અંગે લીલીઝંડી આપી દેતા વડાપ્રધાને 65 કરોડના ખર્ચે તૈયાર થશે ત્યારે જામનગર શહેરની શોભામાં વધુ એક છોગું ઉમેરાશે…
કમિશનર વિજયકુમાર ખરાડીનાં માર્ગદર્શન અને સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્યો હકુભા જાડેજા આર.સી.ફળદુ, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા, મેયર બીનાબેન કોઠારીની સુચન મુજબ સિટી ઈજનેર ભાવેશ જાની કે જેવોએ જામનગર શહેરને ચાર ચાંદ લગાડે તેવા કેટલાય મહત્વના પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમની દેખરેખ હેઠળ, આ ફ્લાયઓવર નિર્માણ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની રણજિત કન્સ્ટ્રકશન કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે. અને, કન્સલ્ટન્ટ તરીકેની કામગીરી અમદાવાદની કસાડ કન્સલ્ટન્ટ પ્રા. લિ. સંભાળી રહી છે.
આ પ્રોજેક્ટની કન્સલ્ટન્ટ કંપની દ્વારા તૈયાર થનાર સ્ટ્રકચરલ ડ્રોઈંગ માર્ગ અને મકાન વિભાગ પાસે મંજૂર કરાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અંદાજે ત્રણેક માસનો સમય લેશે એવી ધારણા છે. ત્યારબાદ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ફ્લાયઓવર જામનગર શહેર અને જિલ્લાના હજારો નાગરિકો ઉપરાંત દેશભરના જે વાહનો અહીંથી પસાર થાય છે તે લાખો વાહનચાલકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ પૂરવાર થશે. સમય, ઇંધણ બચશે. ઘાતક અકસ્માતો નિવારવામાં મદદરૂપ બનશે. તથા, કાયમી ટ્રાફિક જામની પળોજણ દૂર થતાં હજારો વાહનચાલકોને મોટી રાહત મળી શકશે
-આ રહી ફ્લાયઓવરની ટેકનિકલ સહિતની વિગતો….
ફ્લાયઓવરની કુલ લંબાઈ: 1,000 મીટર ( એક કિલોમીટર)
ફ્લાયઓવરની કુલ પહોળાઈ: 17 મીટર
ફ્લાયઓવરનો પ્રકાર: ફોરલેન બ્રિજ
ફ્લાયઓવરની કલિયર ઉંચાઈ: 7.70 મીટર
અને, સર્વિસ રોડની પહોળાઈ: 7.50 મીટર ( બ્રિજની બંને બાજુ)