Mysamachar.in-જામનગર:
જામનગરમાં કોઈપણ સમયે લોકોની સેવા માટે સદા તત્પર રહેતા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ દ્વારા જામનગર શહેરમાં નાની હોસ્પિટલ તરીકે ઓળખાતી જૂની હોસ્પિટલને નવી અત્યાધુનિક સીટી ડીસ્પેન્સરી બનાવવામાં આવી ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સુવિધાસભર આ સીટી ડીસ્પેન્સરી આવતીકાલે જામનગર મહાનગરપાલિકાને ટ્રસ્ટ દ્વારા સોંપવામાં આવશે તે પૂર્વે આજે જામનગરના પત્રકારો સાથે ટ્રસ્ટના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ અને ભરતભાઈ મોદીએ આ સીટી ડીસ્પેન્સરીની મુલાકાત કરી હતી.
જુના જામનગર શહેરના રહેવાસીઓ માટે જે તે સમયે રતનબાઈ મસ્જીદ પાસે કાર્યરત સીટી ડીસ્પેન્સરી (નાની હોસ્પીટલ) આર્શિવાદરૂપ બની ચુકી હતી. સમય જતાં આ આરોગ્ય કેન્દ્ર બંધ થયું.એ પછી જામનગર મહાનગરપાલીકાએ આ જુની ઈમારત તોડી પાડી તેના સ્થાને સુવિધાયુકત નવી ઈમારત બાંધવા માટે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનને જવાબદારી સોંપવા નિર્ણય કર્યો જેના પગલે શહેરના રતનબાઈ મસ્જીદ વિસ્તારમાં મનપાની જમીન પર અંદાજે રૂા.1 કરોડ 40 લાખના ખર્ચે કેદાર લાલ સીટી ડીસ્પેન્સરીનું નિર્માણ કાર્ય નિયત સમય મર્યાદામાં ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
જુના જામનગર શહેરના વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની રહેનારી કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી માટે ભોંયતળીયું અને પ્રથમ મજલાનું અંદાજે 10 હજાર ફૂટનું બાંધકામ તેમજ જરૂરીયાત મુજબના ફર્નીચર સહિતની સુવિધા ટ્રસ્ટ દ્વારા જરાપણ કચાસ છોડ્યા વિના તૈયાર કરવામાં આવી હોવાનું બન્ને મહાનુભાવોએ જણાવ્યું હતું, જે સીટી ડીસ્પેન્સરી આવતીકાલે ટ્રસ્ટ તૈયાર કરી અને મનપાને સોંપી રહ્યું છે તેમાં ભોયતળીયા પર પાર્કિંગ તેમજ બાયો મેડીકલ વેસ્ટ વિભાગ અને સ્ટોર રૂમની વ્યવસ્થા છે. જયારે પ્રથમ મજલા પર બે ઓફીસ ખંડ, પ્રતિક્ષા ખંડ, પુરૂષો – મહિલાઓ માટેના અલગ વોર્ડ, અધતન લેબોરેટરી, પરિક્ષણ વિભાગ, ઈન્જેકશન રૂમ, કેશ બારી – દવા વિતરણ રૂમ તેમજ નર્સીંગ સ્ટાફ રૂમ અને કોલ્ડરૂમની સુવિધા રાખવામાં આવી છે.
શહેરમાં આ કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી કાર્યરત થતાં જુના જામનગર શહેરના મોટાભાગના વિસ્તારના લોકોને નજીકમાં જ સામાન્ય શારીરીક તકલીફો માટેની સારવાર ઉપલબ્ધ તો બનશે જ સાથે સાથે જી.જી.હોસ્પિટલ પરનું ભારણ પણ ઓછું થશે આ રીતે જનતાના તથા સરકારી તંત્રના સમય શકિત અને નાણાનો બચાવ પણ થશે.જામનગર શહેરના આ મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી અને ફર્નીચર સાથેની સુવિધાઓ મહાપાલીકાને આવતીકાલે અપર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.