Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના એક તરફ જોડીયા જામજોધપુર લાલપુર વગેરે વિસ્તારો ખનીજ ચોરી માટે પંકાય ગયા છે તો બીજી તરફ જાણકારોના મતે આટલી જંગી ખનીજચોરી ખાણખનીજની મીઠી નજર વગર શક્ય જ નથી માટે જિલ્લામા કડક ભૂસ્તરશાસ્રીની તાતી જરૂર છે કેમકે ખનીજચોરોએ રેતી, માટી, કપચી, બેલા વગેરેની બેફામ ચોરીથી સોથ વાળ્યો છે અને હજુય સોથ વળે છે ત્યારે કુદરતી સંપતિ હજુ લુંટાય તે પહેલા જામનગર જિલ્લા ખનીજ તંત્રમા ધરમુળથી ફેરફાર પણ જરૂરી છે.
રાજ્ય સરકારે તાજેતરમાં ભુસ્તરશાસ્રીઓના બદલીના હુકમ કર્યા છે પરંતુ હજુ જામનગરના અધીકારી બદલ્યા તેની સામે કોઇ નિમણુંક થઇ નથી આ નિમણુંક થાય તેમા ખનીજ ચોરી ડામી શકે તેવા અધીકારીની જરૂર ઉપર જાણકારો ભાર મુકે છે નહી તો બદલી રૂટીન બની રહેશે અમસ્તુ પણ સરકારે ખનીજચોરી વાળા વિસ્તારોમા હંમેશા કડક અધીકારી મુકવા જોઇએ પરંતુ વિશ્લેષણ કરીને એવુ થતુ નથી તે આશ્ચર્ય છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા ભુસ્તરશાસ્રીના નાક નીચે ખનીજ ચોરીએ માઝા મુકી છે સરકારી ખરાબા, ગૌચર માલિકિની ન હોય તેવી જમીન લીઝ મંજુર થયા વગરની જમીન બધુ જ ખોદાય જાય છે અને ક્યારેક દિવસે ક્યારેક રાત્રે ખોદકામ કરી ખનીજ ચોરો તેના ઇરાદા પાર પાડે ત્યારે શુ ખનીજ અધીકારી અને સ્ટાફ અજાણ હોય તેમ માની શકાય? અરે પોલીસ રેવન્યુ દરોડા પાડી મશીનરી જપ્ત કરે તેવા કિસ્સામા પણ ખનીજકચેરીને તપાસ કરવામા તકલીફ પડે છે તેવુ લાગે છે,
જિલ્લાના જોડીયા પંથકમા થઇ રહેલી રેતી ચોરીમા કહેવાતી તપાસોના હાથ હેઠા પડતા અને તંત્રની સાંઠગાંઠના આક્ષેપ ચોમેરથી થાય છે, જોડિયા પંથકમાં રેતી ચોરી કરતાં ખનીજ માફિયાઓ દ્વારા ભરચક પાણીથી ભરેલી નદી અને ડેમમાં આધુનિક બાર્જ, હુડકા સહિતના મશીનો દ્વારા બેફામ રેતી ચોરી થાય છે. જામજોધપુર પંથકમા સરકારી જમીન જેમા રેવન્યુ, વન વિભાગ, પંચાયત વગેરેમાથી કપચી પથ્થર વગેરે ટન બંધ ખોદાઇ ગયા સગેવગે થઇ ગયા અને તંત્રએ કોઇ ઠોસ કામગીરી કરી નહી અને જોડીયાની જેમ જામજોધપુર પંથક રાજ્ય કક્ષાએ વગોવાય ગયો છતા ખનીજ અધીકારી એ કઇ ઠોસ કામ કરી દાખલો ન બેસાડ્યો
તેવી જ રીતે લાલપુર પાસે ટેકરીઓ નાના ડુંગર જેવા વિસ્તારો ખોદાઇને ખાડા થઇ ગયા માટી મોરમ લાઇમસ્ટોનના ખજાના સમાન આ વિસ્તારને ખનીજ ચોરોએ ખોદીને કહેવાય કે ધુળ કાઢી નાખી છતા ભુસ્તરશાસ્રી કચેરીમા કોઇ ઝાબાઝ ન નીકળ્યુ આ અટકાવવા તેમ ટીકા થાય છે. વળી કોઇ અરજી કે ફરિયાદ કરે તો તે ધ્યાને ન લેવાય કાંતો ગમે તેમ કરી તેને દબાવી દેવાય તેમજ ખનીજ માફીયાઓના જ રાજ ચાલે તેવી સ્થિતિ જામનગર જિલ્લામા સર્જાઇ હોઇ રાજ્ય કક્ષાએથી પગલા લેવાની કડક અધીકારી મુકવાની તાતી જરૂર ઉભી થયાનુ પણ નિષ્ણાંતો જણાવે છે તેમજ જ્યા લીઝ મંજુર છે તે વિસ્તારો જાહેર જનતા માટે જાહેરાત કરી આ સિવાય ક્યાય ખનીજ કઢાતુ હોય તો તુરંત પગલા લેવા ગામડાથી શહેર સુધીની એક ઠોસ સીસ્ટમ ડેવલપ કરવાની પણ જરૂર છે.