Mysamachar.in-જામનગર:
જામનગર શહેર ભાજપના યુવા મોરચામાં ખુબ નાની વયે સક્રિય બની અને સતત વોર્ડના લોકોની સાથે રહી તેના પ્રશ્નોનો નિરાકરણ માટે પ્રયાસ કરનાર જામનગર મનપાના હાલના સ્ટેન્ડિગ કમિટી ચેરમેન મનીષ કટારિયા સતત બીજી ટર્મ કોર્પોરેટર તરીકે ચુટાયા છે, વોર્ડના પ્રશ્નો ઉપરાંત પોતે હાલ મનપાની ખુબ મહત્વની માનવામાં આવતી સ્ટે.કમિટીના ચેરમેન છે માટે શહેરના વિકાસના કામોથી માંડીને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તેવો સતત દોડી રહ્યા છે, અને હવે મનીષ કટારીયાએ વધુ દોડવું પડશે કારણ કે તે જે સમાજમાંથી આવે છે તે સમાજે તેના પર વિશેષ જવાબદારી સર્વાનુમતે આપી છે.
ગત 26 ડીસેમ્બરના રોજ આગામી 2 વર્ષ એટલે કે વર્ષ 2022 થી 2024 માટે શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના 21 સભ્યોની કારોબારી માટેની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ચુંટણી પૂર્ણ થયા બાદ કારોબારી સભ્યોમાં જે નક્કી થાય તે મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ગઈકાલે વરણી કરવામાં આવી છે, જેમાં સર્વાનુમતે સમાજમાં સૌ પ્રથમ વખત સૌથી નાની વયે પ્રમુખ તરીકે જામનગર મહાનગરપાલિકાના સ્ટે.ચેરમેન મનીષ પરસોતમભાઈ કટારીયાની વરણી થઇ છે.મનીષ કટારીયાએ સમાજના પ્રમુખ બનતાની સાથે જ ટીમમાં બે ઉપપ્રમુખો વિનોદ મંગે અને સુરેશ ભદ્રાની નિમણુક કરી છે.જયારે મંત્રી, ખજાનચી સહિતના હોદેદારોની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે,
મનીષ કટારીયાએ my samachar સાથે વાતચીત કરતા કહ્યું કે “જામનગર સમાજમાં સૌ પ્રથમ વખત હું હોઈશ કે જે આટલી નાની વયે પ્રમુખ બન્યો છું, હું સમાજના સર્વે લોકોનો આભારી છું, સમાજે આટલી મોટી જવાબદારી મને સોંપી છે ત્યારે હવે આગામી સમયમાં સમાજની પ્રગતિ દરેક ક્ષેત્રમાં થાય તે મારા પ્રયાસો રહેશે.અને તેના માટે યુવાઓથી માંડી અને વડીલો સાથે હું મુક્ત મને ચર્ચાઓ કરતો રહીશ,”
અત્રે એ મહત્વનું છે કે જામનગર શહેરમાં કચ્છી ભાનુશાળી સમાજની વસ્તી અંદાજે 12 હજાર જેટલી છે, ઉપરાંત કચ્છીઓ મોટી સંખ્યામાં ગુજરાતના જામનગર, કચ્છ, વાપી, વલસાડ, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ઉપરાંત મુંબઈમાં પણ કચ્છી ભાનુશાળી સમાજના લોકોની ખુબ મોટી સંખ્યા છે, અને અલગ અલગ વ્યવસાયો સાથે સંકળયેલા છે.