Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટવિભાગની ફોજ વગોવાયેલી છે, આ ફોજના કેટલાક તો કોઈને દાદ દેતા નથી પોતાનું કરી લે તે અલગ બાબત છે. તેવા ખુલ્લેઆમ આક્ષેપો સામાન્ય સભામાં પણ થયા છે અને થતા રહે છે, એવામાં મનપાની સ્ટે.કમિટીની બેઠકમાં થતી ચર્ચાઓ અને સૂચનાઓનું પાલન પણ આ વિભાગના બહાદુરો કરતા નથી તે કેવું કહેવાય..એટલે મતલબ એવો થાય ને કે જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જેમાં સ્ટે.ચેરમેન, મેયર, ડે.મેયર અને કમિશ્નરથી માંડીને તમામ અધિકારીઓ હાજર હોય તેની હાજરીમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય અને તે બેઅસર રહે તો સામાન્ય લોકો જેની એસ્ટેટ વિભાગને લગત ફરિયાદો હશે તેનું કેટલું અને કેવું નિરાકરણ આ વિભાગ લાવતો હશે તે સમજી શકાય તેવી છે.
મનપાના આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જ મળેલ એક બેઠકમાં દિગ્જામ સર્કલ નજીક આવેલ સરકારી શાળાની પાસે મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર વંડો બનાવી પાયાનું ખોદકામ કરવામાં આવેલ છે અને દબાણ કરવામાં આવેલ છે. આ દબાણ દુર કરવા માટે એસ્ટેટ શાખાને અગાઉ પણ જણાવવામાં આવેલ છે. પરંતુ, ડીમોલેશન કરવામાં આવેલ નથી. આમ વારંવારની સુચનાનું પાલન એસ્ટેટ વિભાગનો સ્ટાફ કરતો નથી,તો ગુલાબનગર પાણીના ટાંકાની જગ્યાની બાજુમાં એક આસામીએ વંડો કરી રસ્તા પૈકીની જગ્યા દબાણ કરી લીધેલ છે. આ બાબતે પણ એસ્ટેટ શાખાને જાણ કરવામાં આવેલ છે.પરંતુ, ડીમોલેશન કરવામાં આવેલ નથી. હા જો કે ગત સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી તે પૂર્વે જ આ અહી ડીમોલીશન થયું હોવાના ફોટા અધિકારીઓ પદાધિકારીઓને ધ્યાને લાવવા મીડીયાને પહોચતા કરાવી અને વાહવાહી લુટવાનો પ્રયાસ થયો હતો
એસ્ટેટ શાખાને મહાનગરપાલિકાની જગ્યામાં દબાણો અંગે અવારનવાર ધ્યાન દોરવામાં આવે છે ત્યારે નોટીશો આપી ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવતી નથી. જયારે મહાનગરપાલિકાની જ જગ્યા હોય ત્યારે દબાણ અંગે નોટીસની કાર્યવાહી કરવાની જરૂરત કયા સંજોગોમાં રહે છે તેવો વેધક સવાલ એસ્ટેટ વિભાગની નક્કર કામગીરી ના થતા સ્ટેન્ડિંગ કમિટીમાં ઉઠવા પામ્યો છે.