Mysamachar.in:જામનગર
જામનગર ક્રાઈમ બ્રાન્ચે જીરૂચોરી મામલે ગોધરાની તાલપત્રીગેંગનો પર્દાફાશ કર્યો છે એવું આજે સોમવારે બપોરે એસપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું. ઝડપાયેલાં ચાર શખ્સોએ કહ્યું છે કે, એકસરખી મોડ્સ ઓપરેન્ડી મારફતે આ ગેંગ દ્વારા કુલ 17 ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ આરોપીઓ વિરુદ્ધ પાછલાં 14 વર્ષમાં 19 ગુનાઓ નોંધાયેલા છે ! ગત્ બીજી એપ્રિલે જોડિયા પોલીસ સ્ટેશનમાં જીરૂચોરીની ફરિયાદ મગનભાઈ નાગજીભાઈ સંતોકી નામનાં એક ખેડૂતે નોંધાવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે, જોડિયા રિલાયન્સ પેટ્રોલપંપ નજીક તેઓએ જીરૂ ભરેલું આઈસર વાહન પાર્ક કરેલું જેમાંથી રાત્રિ દરમિયાન જીરૂની ચોરી થયેલી. ફરિયાદમાં 257 મણ અને 16 કિલો જીરૂ લખાવવામાં આવેલું જેની કિંમત રૂ.17,07,778 દર્શાવવામાં આવી હતી.
આજે એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે, જામનગર એલસીબીએ આ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે અને દડિયા નજીકથી આ તાલપત્રીગેંગના ચાર સભ્યોને રૂ.20 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. મુદ્દામાલમાં રૂ.14,85,000 નું જીરૂ અને રૂ.5 લાખનું આઈસર વાહન છે. ત્રણ મોબાઈલ ફોન છે. આ ચારેય શખ્સો ગોધરાના છે જે પૈકી ત્રણ રીઢા ગુનેગાર છે. તેનાં નામો : ખાલિદ યાકુબ શેખ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભૂરીયો, ઈરફાન અબ્દુલહમીદ હુશેન દરવેશ શેખ અને ફૈઝલ યાકુબ અબ્દુલ્લા ઓકલા શેખ છે. ચોથા શખ્સનું નામ સુફિયા યાકુબ ઈસમાલ પઠાણ શેખ છે.
આ શખ્સો આઈસર વાહન જીજે -09-Z-0582માં 225 મણ જીરૂ ભરી જામજોધપુર યાર્ડમાં વેચવા જતાં હતાં ત્યારે જામનગર નજીક દડિયા ગામ પાટીયા પાસે વોચ માં રહેલી એલસીબીએ આ શખ્સોને ઝડપી લીધા. ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્રણ પીએસઆઇ આર.કે.કરમટા, એસ.પી.ગોહિલ અને પી.એન.મોરીની ટીમે આ શખ્સોને ઝડપી લીધા હતાં. આ કામગીરીમાં જોડિયા પીએસઆઇ આર.ડી.ગોહિલ ઉપરાંત એલસીબી નાં સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા શરદભાઈ પરમાર વગેરે જોડાયા હતાં. એસપી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ગેંગના સાગરિતો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પેટ્રોલપંપ તથા હોટેલો નજીકનાં વાહનોની તાલપત્રી કાપી વાહનમાંથી માલની ચોરીઓને અંજામ આપતાં – એવું આ શખ્સોએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે. ગોધરાના અન્ય બે શખ્સોને પકડવાના હજુ બાકી છે.