Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાની પીવાના પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના 217 ગામોમાં નર્મદા પાઇપલાઇનથી, 30 ગામોને ડેમ આધારીત યોજના દ્વારા આમ કુલ 247 ગામોમાં જૂથ યોજના મારફત તથા 169 ગામોને વ્યક્તિગત બોર-કુવા આધારિત યોજનામાંથી પાણી આપવામાં આવે છે અને જૂથ યોજનાની પાઇપલાઇન કનેકટીવીટી ન હોય તેવા 1 ગામ અને 8 પરા વિસ્તારોમાં દસ હજાર લિટરના કુલ 31 પેરા ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. જામનગર જિલ્લાના તમામ ચીફ ઓફિસરોએ પોતાના વિસ્તાર લગત હાલ પાણીની પરિસ્થિતિ અંગે કોઇ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું.
જિલ્લામાં હાલ ડેમોમાં પાણીનો જથ્થો છે. કાર્યપાલક ઇજનેર જણાવ્યું હતું કે, જે ડેમોમાં પાણી ખૂટી જશે તેના આધારિત યોજનાઓના ગામો અને શહેરોને નર્મદા પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવશે. બેઠકમાં જામનગર જિલ્લાના ગામ-પરાઓમાંના જામનગર તાલુકાના 2 ગામ અને 9 પરા વિસ્તારમાં પાણીના ટેન્કરોને મંજૂરી આપવામાં આવેલ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્વ સરવૈયા, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.