Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગનું એક ભોપાળું વિપક્ષે નહી પરંતુ ખુદ શાશક પક્ષના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજા દ્વારા DDOને લેખિત રજૂઆત કરવામાં આવતા સોંપો પડી જવા પામ્યો છે, વધુમાં ધ્રોલ તાલુકાના કેટલાક ગામોના સરપંચો દ્વારા તેના લેટરપેડ પર સિંચાઈ વિભાગ હસ્તકના જંગલ કટિંગ અને માટીકામ ના થયું હોવાના ચોકાવનારા આક્ષેપો કરતા આ મામલે સમગ્ર જીલ્લા પંચાયતમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.જામનગર જીલ્લા પંચાયતના અધિકારીઓ કોઈને ગાંઠતા નથી તેવી ફરિયાદ ગત સામાન્ય સભામાં પણ ઉઠી હતી, અને બાંધકામ શાખાનો દાખલો આપવામાં આવ્યો હતો, એવામાં જામનગર જીલ્લા પંચાયતનું સિંચાઈ વિભાગ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે, વાત એવી છે કે ધ્રોલ જીલ્લાના કેટલાક ગામોમાં કરવા જોઈતા સિંચાઈના કામોમાં કથિત ગેરરીતી થઇ હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ છાવરી રહ્યાનો આક્ષેપ જીલ્લા પંચાયત સભ્ય લગધીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે,
તેમની રજૂઆત જોતા તેમાં જણાવ્યા મુજબ તેમના મત વિસ્તારના ધ્રોલ તાલુકાના ગઢડા સિંચાઈ યોજના, ડાંગરા સિંચાઈ યોજના તેમજ જાબીડા ચેકડેમના કામમાં ગેરરીતિ થઇ છે, અને ખારવા જિલ્લા પંચાયત શીટના વિસ્તારમાં આવતા જામનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા નીચેની વિગતે મંજૂર થયેલ છે.ગઢડા સિંચાઈ યોજના 3,78,139, ડાંગરા સિંચાઈ યોજના 2,58,000, જાબીડા ચેકડેમ-1 માં 2,22,233 જાબીડા ચેકડેમ-2માં 2,44,381 ઉપરોકત કામમાં જામનગર જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આ કામો માટે ટેન્ડર નિવિદા વગર જ જુનુ ટેન્ડર રીન્યુ કરી ‘અમીધારા કન્સ્ટ્રકશન’ દ્વારા ખોટા બીલ બનાવી મોટો કથિત ભ્રષ્ટાચાર કરેલ છે. આ કામો ઉપર હું પોતે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ, સિંચાઈ સમિતિના ચેરમેન, સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ તે વિસ્તારના સરપંચો તથા આગેવાનોએ રૂબરૂ જઈ જાત નિરીક્ષણ કરેલ છે. હાલમાં આ કામનું જે એસ્ટીમેન્ટ મંજૂર થયેલ છે. જેનું 10% કામ થયેલ નથી. આ બાબતે કાર્યપાલક ઈજનેરને વારંવાર વાકેફ કરેલ તેમજ સરકાર ખેડુતો માટે પાણીની સંગ્રહશકિત માટે લાખો રૂપિયાના ખર્ચ કરે છે. ત્યારે આવા અધિકારીઓ કામ કર્યા વગર બીલ બનાવી ભ્રષ્ટાચાર કરેલ છે. તો જે અંગે યોગ્ય તપાસ થવા તેમને રજૂઆત કરી છે.
-ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ સહીત ગામોના સરપંચોએ લેખિત કરી રજૂઆત
આ ચર્ચાસ્પદ મામલે જામનગર જીલ્લા પંચાયત સભ્ય લગધીરસિંહ જાડેજા ઉપરાંત ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, ડાંગરા ગ્રામ પંચાયતના સરપંચ, ગઢડા ગ્રામ પંચાયતના સરપંચ, જાબીડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓને સિંચાઈ વિભાગના આ કામો અંગે લેખિત રજૂઆત કરી તેમાં જણાવ્યું છે કે માટીકામ અને જંગલ કટિંગ કરવાને બદલે જેસીબી દ્વારા ફાંટા મારી અને જૂનાને નવું કરેલ છે અને ભ્રષ્ટાચાર આચર્યાનો કથિત આક્ષેપ કરવામાં આવ્યો છે.
-અધિકારી કહે છે કે નિયમ મુજબ કામ અને ચુકવણું થયું બચાવ કર્યો
થયેલ આ આક્ષેપો અંગે જામનગર જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારી પરમારે my samachar સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે નિયમ મુજબ જ થવું જોઈતું કામ પણ થયું છે અને નિયમ મુજબ બિલનું ચુકવણું થયેલ છે.આટલું કહીને વધુ જવાબો ના આપવા માટે પોતાનો ફોન કટ્ટ કરી અને બાદમાં ઉપાડવાની તસ્દી લીધી નથી માટે તેનો જવાબ શંકા ઉપજાવનારો પણ હોય શકે જો કે આ મામલે ખોટું થયું છે કે કેમ.? અને આક્ષેપોમાં કેટલો તથ્ય તે અંગે ચોક્કસ તપાસ ગ્રામીણ પ્રજાના હિતમાં થવી ઘટે..અને ત્યારબાદ જ સત્ય ઉજાગર થશે તો મોટો ધડાકો પણ થાય..