Mysamachar.in-જામનગર
જામનગર PGVCLમાં ટ્રાન્સફોમર કૌભાંડ હોય કે પછી, રેસીડેન્સને બદલે કોમર્શીયલ જોડાણમાં ખપાવી દેવાની વાત હોય જામનગર PGVCL કચેરી અને તેના અમુક કર્મચારીઓ અને અધિકારીઓ હંમેશા ચર્ચાઓમાં છવાયેલા રહેતા હોય છે, જામનગર PGVCL અવારનવાર થતા ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં રહ્યું છે. તેમના જવાબદાર ફક્ત ભ્રષ્ટાચારી અધિકારીઓ જ છે.
આજથી લગભગ 6 વર્ષ પહેલા 11 કે.વી. અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ શરુ થયું હતું તે અરસામાં તે સમયના નાયબ ઈજનેર (ટેક) દ્વારા PGVCL ની ટેન્ડર ફાળવાની સામાન્ય શરતો અને શેડ્યુલ બી ને ધ્યાને લીધા વગર જ બિન અનુભવી કોન્ટ્રાકટરોને ટેન્ડર ફાળવી દઈ વર્ક ઓર્ડરો આપી કરોડો રૂપિયાનું -R-APDRP ગવર્મેન્ટ ઓફ ઇન્ડેયા, મીનીસ્ટ્રી ઓફ પાવરને નુકશાન કરાયેલ હતું આ સમયે સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી દ્વારા આ અંગે માહિતી મેળવતા નિયમો પ્રમાણે કાર્ય ન થતું હોવાથી તે સમયના અધિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર, એચ.ટી. સબ ડીવીઝનના નાયબ ઈજનેરને લેખિતમાં પ્રજા હિતનું કાર્ય નિયમ મુજબ થાય તે અંગે અવારનવાર રજૂઆત કરેલ હતી પરંતુ આ અંગે કોઈએ ધ્યાન ન દઈ કોન્ટ્રાકટર દ્વારા મિલીભગત થી R-APDRP પ્રોજેક્ટના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મીનીસ્ટ્રી ઓફ પાવર ના કેબલ કામમાં ચૂનો લગાડી દીધો હોવાનો આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યો છે.
જામનગરમાં તા. 29-09-2020 ના રોજ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની લાઈનનું ખોદકામ કરતા લગભગ 1 ફૂટ ઊંડો 11 કે.વી. કેબલ નીકળી પડ્યો હતો. આ કેબલ જમીન સમતળથી ઊંડાઈ 1200 એમ.એમ. પહોળાઈ 450 એમ.એમ. રહે તે રીતે કેબલ ટ્રેન્ચ ખોદી જમીન સમતળ બનાવી કાંકરા,પાણી વગેરે દુર કરી 50 એમ.એમ. ઝાડી ચાળેલી રેતીનું થર બનાવી કામમાં જરૂરી ટ્રેન્ચ માટેનું ખોદાણ ઇંટો, રેતી તથા 6 ઇંચ ડાયામીટર, 1 મીટર લંબાઈ તથા 1 ઇંચ જાડાઈ ના સિમેન્ટ કોન્ક્રીટ ના અડધીયા મુકવાના હોય છે તેમજ આખા કેબલ રૂટ ઉપર દર 100 મીટર ના અંતરે માર્કર બનાવવાના, માર્કર કાસ્ટ આર્યનના 6 ઇંચ ડાયામીટર ના લગાડવાના તેમજ આ કેબલ ની દીશા સૂચન કેબલની ઊંડાઈ વગેરે વિગતો દર્શાવવાની હોય છે.
પરંતુ આ જગ્યાએ આવા કોઈ દીશા સૂચનો ન હોય અને લગભગ એક ફૂટ ઊંડો ખાડો માંડ ખોડાયો હશે ત્યાજ ત્રિકમ નો ઘા આ કેબલ ઉપર પડતા મોટી જાનહાની અટકી ગઈ હતી અને ખાડો ખોદી કામ કરતા મજૂરનો જીવ માંડ બચ્યો હતો. પરંતુ આ ફીડર ટ્રીપ થતા લગભગ બે કલાક જેટલો સમય પાવર બંધ રહ્યો હતો અને આ ફીડરમાં આવતા તમામ ગ્રાહકો હેરાન-પરેશાન થઇ ગયા હતા.આ અંગે PGVCL ના એમ.ડી અને અધિક્ષક ઈજનેર ને ઉદ્દેશી કલ્પેશ આશાણી દ્વારા અનેક સંદર્ભો ટાંકી કેબલ કામમાં ગેરરીતી થઇ હોવાની રજૂઆત અને ચકાસણી કરવા ચેલેન્જ કરવામાં આવેલ હતી.
પરંતુ ઉલટું ચોર કોટવાલને દંડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. એચ.ટી. સબ ડીવીઝનમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર દ્વારા ગુજરાત ગેસ લીમીટેડના કોન્ટ્રાકટર ને રૂા.15,375/- નું કેબલ ડેમેજ નું કવોટેશન આપી 7 દિવસમાં રૂપિયા ભરવા જણાવી દેવાયું પરંતુ આ અંગે ભૂતકાળ માં ફરજ બજાવી ગયેલ એચ.ટી. સબ ડીવીઝન ના નાયબ ઈજનેર, કાર્યપાલક ઈજનેર તેમજ સુપરવાઈઝર દ્વારા કેબલ કામમાં થયેલ ગેરરીતી ધ્યાનમાં શા માટે નથી આવતી? ભવિષ્યમાં પણ આવા અકસ્માતો સર્જાવાની ભીતિ છે અને ખોદકામ કરતા અનેક મજુરોના જીવ જાય તેમ છે તે અંગે PGVCLના અધિક્ષક દ્વારા આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરી અગાઉ કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી જે તે સમયના અધિકારીઓ પાસેથી PGVCL ને કેબલ કામમાં થયેલ નુકશાન વસુલવું જોઈએ તેવી જાહેર હિતમાં કલ્પેશ આશાણી દ્વારા માંગ કરવામાં આવેલ છે.