Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા સ્વભંડોળની આવક ખૂબ જ મર્યાદિત ધરાવે છે. અને તેથી આ સિલક પણ મર્યાદિત રહેતી હોય છે. જો કે સ્વભંડોળની આવક વધારવા તથા આ પ્રકારના ખર્ચ મર્યાદિત રાખવા, ઘટાડવા તથા શૂન્ય તરફ લઈ જવાનાં પ્રયાસો કરી મહાનગરપાલિકાને આર્થિક મજબૂતી બક્ષવા માટે સતત વિચારણા કરવામાં આવી રહી હોવાનું કમિશનર વિજયકુમાર ખરાડી જણાવે છે. કમિશનરનાં જણાવ્યા પ્રમાણે, કોર્પોરેશન પાણી તથા ગટર અને આરોગ્ય કેન્દ્રો સહિતની સેવાઓ અને સુવિધાઓ પાછળ વીજવપરાશ કરી રહી છે તેનો વાર્ષિક સરેરાશ ખર્ચ આશરે રૂ.22 કરોડ જેટલો રહે છે. આ ખર્ચ ઘટાડી બચત કરવાનાં આશયથી તથા એ નાણાં શહેરનાં વિકાસલક્ષી કામો પાછળ ખર્ચ કરવા માટેની નીતિઓના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રીન એનર્જી કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે.
જેનાં ભાગરૂપે સોલાર શક્તિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કમિશનર વિજયકુમાર ખરાડીએ જણાવ્યું છે કે, મહાનગર સેવા સદનની ઇમારત પર સોલાર પેનલ લગાડવામાં આવી છે જેને કારણે 200 કિલોવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે. જેનો ઉપયોગ સેવાસદન ખાતે કરી, વીજબિલ ઝીરો કરવામાં આવશે. આ ઉપરાંત રણજિતસાગર રોડ પર કોર્પોરેશન હસ્તકનું જે પંપહાઉસ આવેલું છે ત્યાં પણ સોલાર પેનલ લગાડવામાં આવી રહી છે. જેની મદદથી અંદાજે 285 કિલોવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે. જેનો ઉપયોગ પાણી શુદ્ધિકરણ તથા પાણી વિતરણ સહિતની કામગીરીઓમાં કરી શકાશે. આ રીતે ગ્રીન એનર્જી કોન્સેપ્ટથી વીજબચત અને તે રીતે ખર્ચમાં બચત કરી શકાશે.