Mysamachar.in-જામનગર
રાજય સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજ હેઠળ ચાલુ નાણાકીય વર્ષ 2020-2021ની વાર્ષિક પ્રોપર્ટી ટેકસની રકમ તા.31-8-2020 સુધીમાં ભરપાઇ કરનારા તમામ વાણીજિયક એકમો માટે 20 ટકા તથા તા.31-7-2020 સુધીમાં ભરપાઇ કરનારા તમામ રહેણાંક મિલ્કતો માટે 10 ટકા રીબેટ માફી યોજના જાહેર કરવામાં આવી હતી તે મુજબ જામનગર કોર્પોરેશનના ઇન્ચાર્જ આસીસ્ટન્ટ કમીશનર ટેક્સ રોજ આટલી વસુલાત થઇ…..
લોકોનો સારો પ્રતિસાદ…વગેરે-વગેરે જાહેર કરી અહો રૂપમ અહો ધ્વની કરતા રહ્યા પરંતુ ભાઇ “બાહોશ” એ વસુલાત માટે જંગી ખર્ચો કર્યો છતા 300 કરોડની કુલ વસુલાત સામે જુજ જ આવક થઇ એ તો જુઓ અને તમારૂ કર્પોરેશન નાણા ભીડ અનુભવે છે તો આ વસુલાતની જવાબદારી વાળા કહેવાતા બની બેઠેલા ઇન્ચાર્જ આસી.કમી. ટેક્સ મહેનત કરે તો કોર્પોરેશનને કટોરો લઇ ન ફરવુ પડે ને? તેવી ટીકાત્મક ચર્ચાઓ સાંભળવા મળે છે,
જામનગર મહાનગરપાલિકાના મિલ્કતવેરા રજીસ્ટર આસામીઓ 2,67,085 પૈકી માત્ર 44887 લાભાર્થીઓએ લાભ લઇ માત્ર 18 ટકા લોકોએ રૂા.2.28 કરોડની રીબેટનો લાભ લઇ રૂા.16.22 કરોડનો મિલ્કતવેરો ભરપાઇ કર્યો હતો. જેમાં 12038 વાણીજયીક (બિન રહેણાંક મિલ્કતધારકો)એકમોએ રૂા.1.42 કરોડ રીબેટનો લાભ મેળવી રૂા.8.82 કરોડ તથા 32849 રહેણાંક મિલ્કતધારકોએ રૂા.86.35 લાખ રીબેટનો લાભ મેળવી રૂા.7.40 કરોડ મિલ્કત વેરાની ભરપાઇ કરેલ છે. આ ઉપરાંત વોટરચાર્જમાં કુલ 20147 લાભાર્થીઓ દ્વારા રૂપિયા 32.74 લાખ રીબેટનો લાભ મેળવી રૂા.3.29 કરોડ વોટરચાર્જની રકમ ભરપાઇ કરી હતી જયારે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન તા.31-8-2020 સુધીમાં કુલ રૂા.29.16 કરોડ મિલ્કતવેરો અને રૂા.7.05 કરોડની અત્યાર સુધીમાં વસુલાત થઇ ચુકી છે.
જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલ્કતોની રેઇનટબેઇઝ પધ્ધતિ મુજબ રૂા.56.07 કરોડ તથા કારપેટબેઇઝ પધ્ધતિ મુજબ રૂા.183.91 કરોડ સહિત કુલ રૂા.240 કરોડનો મિલ્કત વેરો બાકી રોકાય છે. જયારે વોટરચાર્જ હેઠળ રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબ રૂા.21.88 કરોડ, કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબ રૂા.50.18 કરોડ અને સ્લમ (ઓ.જી.)વિસ્તારના રૂા.24.60 કરોડ સહિત કુલ 96.66 કરોડ વોટરચાર્જ બાકી રોકાય છે. આ હિસાબે મિલ્કત ચાર્જ અને વોટરચાર્જ બન્ને મળીને રૂા.36.21 કરોડની રકમ જ જમા થાઇ છે કુલ ભરપાઇ કરવાના થતા મિલ્કત વેરા અને પાણી વેરાની રકમના 10 ટકા રકમ જ જમા થઇ છે ત્યારે વેરા વસુલી શાખાની કામગીરી સામે સવાલો ઉભા થાય છે.
10 ટકા જ રકમ જમા થવા પાછળના કારણોમાં કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમ્યાન નોકરી ધંધામાં પડેલી અસર પણ એક કારણ માનવામાં આવે છે, જયારે અન્ય એક કારણમાં જે પ્રકારે છેલ્લા થોડા વર્ષોમાં મહાનગરપાલિકાના શાસકોની કામગીરી રહી છે અને શહેરમાં બિસ્માર માર્ગો, રખડતા ઢોર, બંધ સ્ટ્રીટ લાઇટ વિગેરે પારાવાર મુશ્કેલીઓ સામે કરવેરા દાતાઓએ વેરો નહીં ભરવા નક્કી કરી લીધું હોય તેવુ જાણવા મળે છે.
મહાનગરપાલિકાના અનેક વિકાસકામો નાણાના અભાવે અટકેલા પડયા છે, મહાનગરપાલિકાના કર્મચારીઓનો પગાર પણ નાંણાભીડના કારણે યોગ્ય સમયે થતો નથી આવા સમયે રૂા.300 કરોડની વેરાની ઉઘરાણી બાકી નીકળતી હોય શાસકોની વહીવટી તંત્ર ઉપર કેટલી પકડ છે તે સાબિત કરી બતાવે છે.વેરા વસુલીમાં બેજવાબદાર અધિકારી ઉપર કડક પગલાભરી શાસકો દાખલો બેસાડશે…!?
-જંગી લેણા બાકી હોવાનો સ્વીકાર
જામનગર મહાનગરપાલિકાની અખબારી યાદીમાં ખુદ ઇન્ચાર્જ આસીસ્ટન્ટ કમિશ્ર્નર ટેકસ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના વેરા પ્રજા પાસે ઉઘરાવવાના બાકી છે, જેમાંથી મોટા ભાગની રકમ તો અન્ય સરકારી વિભાગો પાસે જ છે, અને કરોડોનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરનારા માલેતુજાર બિલ્ડરો પાસે છે, ત્યારે આ બાકીવેરાદારો પાસે જવામાં અધિકારીઓને લાલ રંગની નોટ વાળી લક્ષ્મણ રેખા નડે છે તેવો સવાલ લોકોમાં ચર્ચાય છે.
-મિલકત માપણીમા પણ બાંધછોડથી પણ મોટા નુકસાનની ચર્ચા
એક તરફ જેટલી મિલકત નવી બને હયાતમા વધારો થાય તે તુરંત કારપેટ બેઝ માપણીમા મિલકતવેરા શાખા ઉત્સાહ દાખવતુ નથી તેમજ અનેક એવા હયાત બાંધકામ છે, જેની આકારણી કરાઇ હોય તેની સામે વધુ બાંધકામ હયાત હોય છે. અમુક માત્ર પ્લોટ બતાવ્યા હોય ત્યા બંગલા એપાર્ટમેન્ટ કે કોમર્શિયલ કંઇ બાંધકામ હોય કે નાનુ મોટુ કારખાનુ પણ હોય આ દરેકના કારણે આકારણી ઓછી થઇ હોય જે નુકસાન પણ બહુ મોટુ છે જેમ બાંધકામ પરવાનગીમા ગોબાચાળીની રમતો ચાલે છે તેવી જ મીલકત વેરામા છે, તે લગત લોકો જવાબદારો જાણે જ છે.
-માત્ર 500 આસામીઓ પાસેથી 17કરોડ બાકી ત્યા કોની લાજ કઢાય છે?
જામનગર શહેરના એક લાખથી વધુ મિલકતવેરા લાબા સમયથી બાકી છે તેવા 500 આસામી છે જેમા બંગલા,એપાર્ટમેન્ટ, શોરૂમ, કારખાનાના સમાવેશ છે, કુલ 17 કરોડથી વધુ આ લોકોના બાકી બોલે છે તે વસુલાત ધારે તો ઝડપથી થઇ જાય પરંતુ કોની લાજ કઢાય છે એ જ સમજાતુ નથી કોર્પોરેશનના બધા અધીકારીઓ આગેવાનો નેતાઓના દરેકના તો મિલકત વેરા એડવાન્સમા જમા થતા હશે એમ માની લઇએ તો.? પણ સો ટકા માની પણ નથી શકાતુ ગામમા નાના બાકીદારોમાં ઢોલ બઘડાટી કરાય છે,
તેમ મોટા બાકિદારોને ત્યા ઢોલ વગાડો ને? ખબર પડે ત્યા તો કોકના ફોન આવે છે ને જી હા…જી હા કરતા પલાયન થઇ જાવ છો બીજી ખુબી એ છે કે એ પહેલાના વર્ષે 1 લાખથી વધુ મિલકત વેરાની બાકી વસુલાત હોય તેવા 280 આસામી પાસેથી 10 કરોડ બાકી હતા આમ દર વર્ષે મોટી વસુલાત બાકી રહેવાનુ કે રાખવાનુ વધે છે.
-જો કોર્પોરેશન નુ હિત હૈયે હોય તો ડીસ્પ્યુટ ઝડપી નિકાલ કરો
લીગલ-લેબર શાખા ટેક્સ શાખા મિલકત વેરા શાખા એકાઉન્ટ દરેકે સંકલન કરી મિલકત વેરા ડીસ્પ્યુટ બાબતો છે તેનો નિકાલ કરવાની ઝડપી કાર્યવાહિ કરવી જોઇએ જો કોર્પોરેશનનુ હિત હૈયે હોય તો….કેમકે કરોડો રૂપિયા સામાન્ય ડીસ્પ્યુટમા સલવાયા છે, વર્ષોથી પેન્ડીંગ છે ને લેબર શાખા લબાડ શાખાની જેમ કામ કરતી હોય કોર્પોરેશનની વિરૂદ્ધમા ચુકાદા આવે છે, મિલકત વેરા શાખા માપણી માટે ચુસ્તી દાખવતી નથી ટેક્સના ઇન્ચાર્જ આસી.કમી.ના તો કંઇ વખાણ જ થાય તેમ નથી વારંવાર વસુલાત થયાના પ્રચાર કરે છે પણ ડીસ્પ્યુટ મા જેટલી રકમ છે તેટલી પણ બીજે થી આવક થઇ નથી…!!