Mysamachar.in-જામનગર
રાજ્યમાં થોડા વર્ષ પૂર્વે સુરતના ટ્યુશન કલાસીસમાં ઘટેલ આગની ઘટના, જે બાદ ખાનગી સરકારી હોસ્પિટલોમાં આગના બનાવો અને જાનહાનીને પગલે સરકાર સફાળી જાગી છે, અને ગત 26 જાન્યુઆરીથી રાજ્યમાં નવા ફાયર સેફ્ટ એક્ટને અમલમાં મુકવામાં આવ્યો છે, પરંતુ જામનગર શહેરમાં જ હજુ પણ કેટલીય એવી ઈમારતો છે જેને ફાયર NOC લેવામાં રસ જ ના હોય તેમ લાગે છે, વધુમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે પણ આશ્ચર્ય પમાડે તેમ કાગળ પર અધુરી વિગતો દર્શાવાઈ હોય તેમ લાગે છે. કારણ કે જે રીતે કુલ આંકડો દર્શાવામાં આવ્યા છે તે શંકા ઉપજાવનાર છે.
ફાયર વિભાગ દ્વારા આપવમાં આવેલ આંકડાઓ મુજબ જામનગર શહેરમાં રેસીડેન્સીયલ બિલ્ડીંગ હાઈરાઈઝની સંખ્યા માત્ર 128 જ છે જેમાંથી 94 ઇમારતો એ NOC લીધી છે જયારે 34 હાઈરાઈઝ ઇમારતો NOC લીધી જ નથી, તો શહેરમાં આવેલ 109 કોર્મશિયલ બિલ્ડીંગ માંથી માત્ર 47 પાસે જ NOC છે 62 પાસે નથી, તો જ્યાં નાના બાળકો અને દેશનું આવતીકાલનું ભવિષ્ય અભ્યાસ કરે છે તે શાળાઓ અને કોલેજ ની સંખ્યા ફાયરના ચોપડે માત્ર 99 છે જેમાં જેમાંથી 92 પાસે NOC છે જ્યાર 7 પાસે નથી, હોસ્પિટલ તો જામનગર શહેરમાં માત્ર 110 છે જેમાંથી 8 પાસે ફાયર NOC નથી.તો હોટલ-રેસ્ટોરન્ટ 45માંથી 15 પાસે હજુ NOC જ નથી આમ આંકડાઓની આ માયાજાળ વચ્ચે ફાયર NOC બાબતે ફાયર શાખાનો સ્ટાફ કાઈ ખાસ રસ દાખવી અને અકસ્માતો બનતા પૂર્વે જ અટકે તે દિશામાં નક્કર કાર્યવાહી કરવાના મુડમાં ના હોય તેમ લાગે છે.