Mysamachar.in-જામનગર
ગત વખત જામનગર જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાશન રહ્યા બાદ તાજેતરમાં જ યોજાયેલ ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે, નવી બોડીની નિમણુક બાદ આજે પ્રથમ બજેટ રજૂ થયું હતું, જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાએ 208.97 કરોડના રજુ કરેલ બજેટમા આવનાર વર્ષમાં સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી પહેલ તેવોએ કરી છે, જિલ્લા પંચાયતની નવી પેનલ અસ્તીત્વમાં આવ્યા બાદ ખુબજ ઓછા સમયમાં એક અતિ મહત્વનું કામ એવું જિલ્લા પંચાયતનું અંદાજપત્ર રજુ કરવાનું થતું હતું. આવકના જુદા જુદા સ્ત્રોત ને ધ્યાનમાં રાખી અંદાજીત આવક તેમજ આગામી વર્ષમાં લોકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને જન સમુદાયની સુખાકારીમાં વધારો કરી શકાય તે મુજબ વિવિધ ક્ષેત્રે જોગવાઈઓ કરી વિકાસ લક્ષી અંદાજપત્ર આજ રોજ સામાન્ય સભાના માધ્યમથી રજુ કરવામાં આવ્યું હતું.
સને 2021-22 નાં અંદાજપત્રનાં મુખ્ય અંશ જોઈએ તો હાલમાં દેશના વડાપ્રધાન ધ્વારા વિશ્વ જળ દિવસ નિમીતે “Catch the Rain, where it falls, when i t falls ” ના સ્લોગન સાથે “જલ શકિત અભિયાન” લોન્ચ કર્યુ છે. આ અભિયાનનો મુખ્ય આશય વરસાદના પાણીને સંચય કરવાનો છે. જેમાં ચોમાસા પહેલા પ્રિ-મોનસુન એકટીવીટી તરીકે ચેકડેમ રીપેર કરવા, તળાવ ઉંડા ઉતારવા, પાણીની સ્ટોરેજ કેપેસીટી વધારવી જેવા કામો હાથ ધરી વરસાદનાં પાણીને વહી જતું અટકાવવાનો છે.
-આજ આશય સાથે જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ ગ્રામિણ વિસ્તારમાં ચેકડેમની મરામત અને નવા ચેકડેમ બાંધવા માટે 200.00 લાખની જોગવાઈ કરેલ છે.
-ઉપરાંત જિલ્લા પંચાયતના વિસ્તારમાં વિકાસનાં કામો માટે પણ 200.00 લાખની જોગવાઈ રાખવામાં આવેલ છે.
-અનુસુચિત જાતી તેમજ પછાત વર્ગના વિસ્તારમાં લોકોને કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત થાય તે માટે 60 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
-આંગણવાડીમાં વિશેષ સુવિધાઓ આપી શકાય તે માટે 20 લાખ.
-શિક્ષણ ક્ષેત્રે 30 લાખ
-કુદરતી આફતના સમયમાં આકસ્મિક કાર્યો માટે 20 લાખ
-આરોગ્ય ક્ષેત્રમાં 18 લાખ
-આયુર્વેદ ક્ષેત્રે 8 લાખની જોગવાઈઓ કરવામાં આવેલ છે.
-આમ જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ તમામ ક્ષેત્રને લક્ષમાં રાખી, કુલ અંદાજીત આવક રૂા.1329.27 લાખની સામે 898.40 લાખનાં ખર્ચની જોગવાઈ કરતાં રૂા. 431.47 લાખનું પુરાંતલક્ષી બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એકંદરે 2021-22 નાં વર્ષનાં અંદાજપત્રમાં સરકારી અનુદાન સહીત જોઈએ તો 205.01 કરોડની અંદાજીત આવક સામે 208.97 કરોડનાં અંદાજીત ખર્ચની જોગવાઈ કરેલ છે. અંદાજપત્રમાં સ્વભંડોળ હેઠળ જુદા જુદા ક્ષેત્રે 898.40 લાખનાં ખર્ચની જોગવાઈ કરી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દરેક છેવાડાના નાગરીક સુધી તમામ સગવડો પહોચાડી શકાય તેવી જોગવાઈઓ રાખવામાં આવેલ છે.