Mysamachar.in:જામનગર
દરિયાકિનારો કોઈ પણ રાષ્ટ્ર માટે સંવેદનશીલ ક્ષેત્ર હોય છે. કારણ કે, આ ક્ષેત્રમાં ઘણીયે અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને અપરાધો આકાર લેતાં હોય છે અને જવાબદારો જુદાં-જુદાં કારણોસર આ ક્ષેત્રમાં જોયું ન જોયું કરતાં હોય છે અને તેનાં બદલામાં ગેરલાભો અંકે કરતાં હોય છે. જામનગર તથા દ્વારકાનાં દરિયાકિનારે પણ ‘સબ સલામત’ છે એવું માની લેવાને કોઈ કારણ નથી ! કસ્ટમ તથા ડીઆરઆઈ જેવાં તંત્રો બહુ પ્રતિષ્ઠા ધરાવતાં હોતાં નથી, એવો આપણાં સૌનો દાયકાઓનો અનુભવ રહ્યો છે. આ ક્ષેત્રમાં કેટલાંક ગણ્યાગાંઠ્યા સારાં અધિકારીઓને બાદ કરતાં તોડબાજો બહુમતીમાં હોય છે ! જામનગર કસ્ટમની મથરાવટી ક્યારેય ચોખ્ખી રહી નથી. તેની પાછળ કોઈ એક કારણ નથી ! પણ આવી ચર્ચાઓ આધારભૂત સુત્રો એવા જાણકારો કરતા હોય છે,
એવામાં આ તંત્રને નજીકથી જોનાર અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, જામનગર તથા હાલારના બંદરો પર ઓસ્ટ્રેલિયા,ઈન્ડોનેશિયા,દક્ષિણ ભારત,આફ્રિકા,આરબ દેશો તથા અન્ય દેશોનાં કાર્ગો શિપ તથા ટેન્કરનું તેમજ મોટાં વહાણોનુ આવાગમન દાયકાઓથી મોટાં પ્રમાણમાં થતું રહે છે, જેને કારણે કસ્ટમ તંત્રનાં બંને અંગૂઠા તથા આઠેય આંગળીઓ ઘીમાં તરબોળ રહે છે. બંદરો પર સિક્યોરિટી જવાનો આંટાફેરા કરતાં જ હોય છે અને બંદરીય માર્ગો અને વિસ્તારોમાં નજર રાખવા મરીન પોલીસ સહિતની એજન્સીઓ પણ હોય જ છે.
પરંતુ આ ક્ષેત્રમાં અવરજવર કરતાં કેટલાંક વાહનો એવાં હોય છે, જે ક્યારેય ચેક થતાં હોતાં નથી.! દાખલા તરીકે, કસ્ટમ તંત્રનાં વાહનો તથા કસ્ટમની રહેમ નજર ધરાવતાં વાહનો ક્યારેય ચેક થયાનું કોઈએ સાંભળ્યું નથી ! વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર, બંદરો પર અવરજવર કરતી શિપ તથા ટેન્કર વગેરે ઘણાં પ્રકારના આંતરરાષ્ટ્રીય તથા ભારતીય કાયદાઓ તથા નિયમો અને જોગવાઇઓનો ભંગ કરતાં રહેતાં હોય છે પરંતુ રેકર્ડ પર મોટેભાગે સબ સલામતની સ્થિતિ જોવા મળતી હોય છે !
કસ્ટમ સાથે સંકળાયેલા લોકો રોકડા ડોલર,આલ્કોહોલિક પીણાં,વિદેશી સિગારેટ,સૂકો મેવો સહિતની ચીજવસ્તુઓનાં બદલામાં મોટાભાગના ગેરરીતિઓનાં કિસ્સાઓમાં ન જોયું કરતાં હોવાનું જગજાહેર હોવા છતાં, ક્યારેય કસ્ટમના તથા કસ્ટમ સંબંધિત વાહનો ચેક થતાં નથી ! આ આખો ઘટનાક્રમ સમજી શકાય તેવી બાબત હોય છે. કસ્ટમતંત્રની ગણના દૂઝતા ક્ષેત્રમાં અમસ્તી જ નથી થતી. પોલીસતંત્રની માફક આ ક્ષેત્રમાં પણ રિકવેસ્ટ રેઈડ અને ફરજિયાત કેસ નોંધવાનું દૂષણ દાયકાઓથી ચાલ્યું આવતું હોવાની સ્થિતિ પણ ઘણાં જાણકારો જાણતાં હોય છે પરંતુ વિવિધ કારણોસર સૌ મૌન ધારણ કરતાં હોય છે !