Mysamachar.in-જામનગર:
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા આંતરરાષ્ટ્રીય બની રહી છે. આજે સોમવારે સવારે યુનિવર્સિટી સત્તાવાળાઓએ ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટી સાથે આયુર્વેદ સંલગ્ન શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કામ કરવા MoU સાઈન કર્યું હતું. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના શિક્ષણ અને સંશોધન વિભાગ (ITRA) હસ્તક આગામી સમયમાં ગોરધનપર ખાતે વર્લ્ડ ક્લાસ સંશોધન કેન્દ્ર બની રહ્યું છે અને થોડાં સમય પહેલાં આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો પણ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ આજે યુનિવર્સિટી સત્તાવાળાઓ આ દિશામાં વધુ એક કદમ આગળ વધ્યા છે. ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટી સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કામ કરવા કરાર કર્યો છે.
જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ઈન્સ્ટીટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ વિભાગે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે આ કરાર કર્યો છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટી તરફથી સંસ્થાના નિયામક વૈદ્ય અનુપ ઠાકર અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી તરફથી પ્રો. બારની ગ્લોવરએ આ કરાર પર આજે સોમવારે સવારે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં યોજાયેલાં કાર્યક્રમમાં હસ્તાક્ષર કર્યા હતા અને જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આ દિશામાં આગળ વધી આયુર્વેદ ક્ષેત્રમાં ખાસ કરીને હર્બલ દવાઓ અને યોગ સહિતની ફેકલ્ટીમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એકમેકને સહયોગ આપશે, નવાં અભ્યાસક્રમો દાખલ કરશે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય આયુર્વેદનો પ્રચાર પ્રસાર વધશે. જામનગરમાં આજનાં આ કાર્યક્રમમાં ITRA નાં ઈન્ટરનેશનલ સ્ટડીઝના ડીન ડો. મનદીપ ગોયલ અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીનાં ડો. ડેનિસ ચેન્ગ તેમજ ITRA નાં દિલીપ ઘોષ સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતાં.