Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ટોચના અધિકારીઓમાં નામ આવે એટલે સરળ સ્વભાવના રાજેન્દ્ર સરવૈયાના નામથી સૌ કોઈ પરિચિત છે, પોતાના હોદાના રૂઆબ વિના આવનાર અરજદારોને સાંભળવા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે દિશાઓમાં લગત વિભાગને જરૂરી સૂચનાઓ આપવી તેમનો સ્વભાવ રહ્યો છે, નિવાસી અધિક કલેકટરની ફરજ પૂર્વે સરવૈયા જામનગર શહેર પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા હોય શહેર જીલ્લાના માળખાથી તેવો પરિચિત હતા, એવા જામનગર જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા ગઈકાલ તા.31/8/21 ના રોજ વયનિવૃત થયાં છે. જેમને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા ભાવભર્યું વિદાયમાન આપી અને સરવૈયા સાથે બજાવેલ ફરજો અને સંસ્મરણો વાગોળી પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ અધિક કલેક્ટર સરવૈયાને વય નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે સરવૈયા ઉમદા વ્યક્તિત્વ અને આદર્શ આચરણનું જીવંત ઉદાહરણ છે.કોઈપણ મુશ્કેલ લાગતી બાબતમાં હકારાત્મક વલણ દાખવી કઈ રીતે પરિસ્થિતિને સાનુકૂળ કરી શકાય તે વિશેષ ગુણ સરવૈયામાંથી શીખવા જેવો છે. આ પ્રસંગે રાજેન્દ્ર સરવૈયાએ પોતાની ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળી વિવિધ સરકારી વિભાગોમાં સેવારત હાલના નવયુવાનોને નિષ્ઠા તેમજ પ્રામાણિકતાથી લોકોપયોગી ફરજ બજાવવા પ્રેરણા પુરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર સરવૈયાની રાહબરી હેઠળ કોવિડ કાળમાં જામનગર જિલ્લામાં વિવિધ વિભાગોનું સુચારૂ સંકલન સધાયું હતું અને કોરોના મહામારીનો સામનો કરવામાં વહીવટી તંત્રને યોગ્ય દિશા તથા માર્ગદર્શન મળ્યું હતું.અધિક કલેક્ટર સરવૈયા પોતાની 37 વર્ષની લાંબી સેવા બજાવી સેવા નિવૃત થયાં છે.
આ પહેલા તેઓ જામનગર જિલ્લામાં જ પ્રાંત અધિકારી તરીકે પોતાની ફરજો બજાવી ચુક્યા છે. તેમના વય નિવૃત્તિના આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.