Mysamachar.in-જામનગર
ચોમાસાની ઋતુમાં અને ખાસ કરીને એક જ દિવસમાં ભારે વરસાદથી જામનગર જીલ્લાના હાલ બેહાલ થઇ ગયા..અને ખેતરો અને ખેતીના પાકોને વ્યાપક નુકશાની થઇ છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ બાદ પોતાના વિસ્તારને ક્યાંક ને ક્યાંક થઇ રહેલા અન્યાય બાબતે જામજોધપુર-લાલપુર મત વિસ્તારના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા ખેડૂતો અને લોકોના હિતમાં આગળ આવ્યા છે અને તેવોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી તેમાં જણાવ્યું છે કે..
મારા મત વિસ્તાર જામજોધપુર તેમજ લાલપુર તાલુકામાં કુદરતે જાણે લીલો કહેર વર્તાવ્યો હોય તેમજ અતિથી અતિ ભારે વરસાદના કારણે મારા મત વિસ્તારના તમામ ગામોમાં ગ્રામજનો તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, જેમાં મોટાભાગના ખેડૂતોનો પાક નાશ પામેલ છે જેના સર્વેની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ હતી જેના આધારે તા.18/10/2021ના રોજ ભારે વરસાદી થયેલા પાક નુકશાન અન્વયે “કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે, જે પેકેજ અંતર્ગત ખાલી પૂરગ્રસ્ત વિસ્તારોનો જ સમાવેશ કરવામાં આવેલ છે. જે બાબતે જણાવવાનું કે સપ્ટેમ્બર માસમાં થયેલ અતિથી ભારે વરસાદના કારણે તમામ ખેડૂતોનો પાક જેવા કે કપાસ, મગફળી, તલ વિગેરે જેવા પાકો તદ્દન નિષ્ફળ ગયેલ છે. જેથી મારા મત વિસ્તારમાં તમામ ખેડૂતોને મોટું નુકશાન થવા પામેલ છે.
જેથી અમુક ગામોમાં જ રાહત પેકેજ જાહેર કરવાથી અન્ય ખેડૂતો સાથે હળાહળ અન્યાય છે. નુકશાની સાર્વત્રિક થવા પામ્યું છે તો “એકને ખોળ અને બીજાને ગોળ” જેવી નીતિ ન રાખી તમામ અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તે મુજબ રાહત પેકેજમાં સુધારો સુચવી તમામ ખેડૂતોને રાહત પેકેજમાંથી સહાય ચૂકવાય તે મુજબની અમારી તેમજ તમામ અસરગ્રસ્ત ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી રાહત પેકેજમાં સુધારો સુચવી ભારે વરસાદમાં અસરગ્રસ્ત તમામ ખેડૂતોને રાહત મળે તે મુજબ કાર્યવાહી કરવા ખાસ ભલામણ ચિરાગ કાલરીયા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં કરવામાં આવી છે.