Mysamachar.in-જામનગર:
હાલમાં જામનગર શહેર અને જીલ્લામાં પણ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કેટલીક ખાનગી કોવીડ હોસ્પિટલોને પણ તંત્ર દ્વારા એમઓયુ કરી અને કોવીડ સારવાર અંગેની મંજુરી આપવામાં આવી છે,ગંભીર કોરોના દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે, ત્યારે સ્ટોક જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરને નોડલ અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે, અને તેનો ચોક્કસ સ્ટોક દર્દીઓના નામ સહિતનો નિભાવવાનો હોય છે, અને તેની ઝીણામાં ઝીણી માહિતી રાખવાની હોય છે, એવામાં આજે જામનગર કલેકટર રવિશંકરને ધ્યાને આવેલ કેટલીક ફરિયાદો સહિતની બાબતોને લઈને જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈ સહિતની ટીમ સ્વામીનારાયણ કોવીડ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે પહોચી હતી,
અંદાજે ત્રણ કલાક સુધી હોસ્પીટલના રેકોર્ડ સહિતની તપાસણી કરવામાં આવી હતી અને ડોકટરો સહિતના સ્ટાફને પૂછપરછ કરી માહિતી મેળવવામાં આવ્યા બાદ પ્રાંત અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હોસ્પિટલના સ્ટોકમાં રેમડેસીવીર શૂન્ય જ્યારે તપાસ કરવામાં આવી તો 22 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન હોવાનું સામે આવ્યું હતું, પ્રાંત અધિકારીએ વધુમાં કહ્યું કે મૃત દર્દીઓના અને જે દર્દીઓને રજા આપવામાં આવી તેના નામે પણ ઇન્જેક્શન હોસ્પિટલ દ્વારા માંગવામાં આવ્યા હોવાનો અને તંત્રને ખોટી માહિતી આપવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તેથી આ મામલે આગળની કાર્યવાહી જેએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.